દિલ્હી હાઈકોર્ટે એક વિચિત્ર કિસ્સામાં ચુકાદો આપ્યો હતો કે પત્ની જો અન્ય લોકોની હાજરીમાં પતિને લાફો મારે તો તે પતિ માટે આત્મહત્યા કરવા માટેની પ્રેરણા સમાન ઘટના ન કહી શકાય. આ સાથે હાઈકોર્ટે આરોપી મહિલાને નિર્દોષ જાહેર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી મહિલા વિરુ્ર આ મુદ્દે કોઈ કાર્યવાહીનો સવાલ જ પેદા થતો નથી.
વાસ્તવમાં એક યુગલે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ના લગ્ન કર્યા હતા અને થોડા મહિનાઓ બાદ તેમના ઘરે બાળકીનો જન્મ થયો હતો. મે મહિનામાં મહિલા પતિ સાથે વિવાદ થયા પછી તેનું ઘર છોડીને જતી રહી હતી. ૨ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ પતિએ આત્મહત્યાની કોશિશ કરી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પણ ત્યાં તેનું બીજા દિવસે મોત થયું હતું.
પતિના પલંગ પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે તેની પત્નીએ જાહેરમાં અન્ય લોકોની હાજરીમાં તેને લાફો માર્યો હતો અને એ અપમાન સહન ન થતા તે આત્મહત્યા કરી રહ્યો છે. આ ચિઠ્ઠીના આધારે પોલીસે પત્ની પર કેસ કર્યો હતો, જેમાં હાઈકોર્ટે આરોપી મહિલાને નિર્દોષ મુક્ત કરી હતી.