અમદાવાદ શહેરમાં જયાં એકતરફ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત ઉંચો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લગતી ફરીયાદોમાં પણ વધારો થવા પામ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલો પૈકી છેલ્લા ત્રણ માસમાં કુલ મળીને ૨૯૮ જેટલા પાણીના સેમ્પલ અનફીટ જાહેર થતા તંત્રની પોલ ખુલી જવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,શહેરના મધ્યઝોનમાં આવેલા શાહપુર,કાલુપુર,જમાલપુર સહીત પૂર્વઝોનના રખીયાલ,ગોમતીપુર સહીત દક્ષિણઝોનના બહેરામપુરા જેવા અનેક વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી પાણી પુરતા પ્રેશરથી ન મળતુ હોવા ઉપરાંત પ્રદૂષિત પાણી મળતુ હોવાની વારંવાર ફરીયાદો ઉઠવા પામી છે. આ અંગે સંકલન સમિતિની બેઠકમાં શાસક અને વિપક્ષ એમ બંને પક્ષોના ધારાસભ્યો દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ અગાઉ ગત બુધવારના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાંથી પ્રદૂષિત પાણીની ભરીને લાવેલી પાણીની બોટલો સાથે ગૃહમાં આવ્યા હતા. જ્યાં મેયર સમક્ષ ઉગ્ર રજુઆત કરીને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ રજુઆત કરી હતી. દરમ્યાન કોંગ્રેસના પ્રવકતા અને દરિયાપુરના કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઈજનેર વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ અને તેના કરવામાં આવેલા લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટને લઈને કહ્યું કે,મધ્યઝોનમાં વર્ષો જુની પાણીની લાઈનો છે.જે બદલવા અંગે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી પાણીની આ લાઈનો બદલવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે અનેક ઠેકાણે પાણી અને ડ્રેનેજની લાઈન એક થઈ જવાના કારણે લોકોને પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડે છે. જેનાથી કમળા સહીતના અન્ય રોગના દર્દીઓની સંખ્યા પણ સતત વધતી જાય છે. છતાં તંત્રના બહેરા કાને આ વાત સંભળાતી નથી.વર્ષ-૨૦૧૬માં કુલ મળીને ૧૦૮૨ પાણીના સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા હતા. તો આ વર્ષે ત્રણ માસમાં કુલ ૨૯૮ પાણીના સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા છે. પૂર્વ નેતાએ લાઈનો ડીસિલ્ટીંગ કરવાની માગણી કરી છે.