અમદાવાદ શહેરમાં ગત શનિવારના રોજ એક જ દિવસમાં એક સાથે આગના ચાર બનાવો બનતા લોકોના જીવની રક્ષા કરવાવાળુ ફાયર બ્રિગેડ વિભાગ પોતે સંકટમાં મુકાઈ ગયું હતું. કેમકે આગની આ ચાર ઘટનાઓમાં આગને નિયંત્રણમાં લેવા માટે મોટાભાગના સ્ટાફને ફરજ પર મોકલી દેવો પડ્યો હતો. આ સમયે વિભાગ પાસે વાહનો હતા પરંતુ તેને ચલાવવાવાળા ડ્રાઈવરો ખુટી પડયા હતા. આ અંગેની વિગત એવી છે કે,શનિવારે શહેરમાં મણીનગરમાં આવેલી મોસ્કો હોટલ,કઠવાડા જીઆઈડીસી,આલ્ફાટેગ અને આર વી ડેનિમ એમ કુલ ચાર જેટલા સ્થળોએ આગના કોલ ફાયર વિભાગને મળ્યા હતા.આ પૈકી બે કોલ બ્રિગેડ કોલ હતા.જેને લઈને ફાયરના અધિકારીઓ,વાહનો અને જવાનોના મોટાભાગના સ્ટાફને ફરજ ઉપર મોકલી દેવાની તંત્રને ફરજ પડી હતી.દરમ્યાન એ દિવસે પરિસ્થિતિ વિભાગ માટે અત્યંત નાજુક બની જવા પામી હતી કેમકે જો આ દિવસે શહેરમાં કોઈ અન્ય હોનારત કે દુર્ઘટના બનવા પામી હોત તો ફાયર વિભાગ પાસે વાહનો તો હતા પરંતુ તેને ચલાવવાવાળા ડ્રાઈવરો જ ન હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ કે, સેન્ટ્રલ ઓફિસ સમક્ષ આ અંગે વારંવાર લેખિત અને મૌખિકમાં રજુઆત કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં અમદાવાદ ફાયર વિભાગને કુલ મળીને ૧૦૪ જેટલા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની તાતી જરૂર છે. કયા કારણોસર સેન્ટ્રલ ઓફિસ આ ડ્રાઈવરોની ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી હાથ ધરી રહી નથી એ બાબત સમજાતી નથી. શનિવારે આ ચાર બનાવો ઉપરાંત જો કોઈ અન્ય મોટી હોનારત કે દુર્ઘટના બનવા પામી હોત તો અમે તેને પહોંચી વળી શકયા જ નહોત.પરંતુ તંત્રને આ વાતની ગંભીરતા સમજાતી નથી તે પણ એટલી જ સાચી વાત છે. અત્રે નોંધનીય છે કે,અમદાવાદ ફાયર વિભાગ પાસે હાલ જે સ્ટાફ છે તે શહેર અને શહેર બહાર લાગતી આગ બુઝાવવા ઉપરાંત પક્ષી બચાવવા,રસ્તા ઉપર પડી ગયેલા વૃક્ષો દુર કરવા ઉપરાંત ખાળકુવામાં ગરકાવ થઈ ગયેલા પશુઓને કે બાળકોને બહાર કાઢવા જેવી કામગીરી પણ કરી રહ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ