લોકપ્રિય થિયેટર અને ટેલિવિઝન અભિનેત્રી રાગીણી શાહની હવે નામકરણ ટીવી સિરિયલમાં એન્ટ્રી થઈ ગઈ છે. રીમા લાગુના હાલમાં જ હાર્ટ અટેકના કારણે નિધન બાદ હવે રાગીણી શાહની એન્ટ્રી થઈ છે. રાગીણી શાહ આ સિરિયલમાં હવે દયાવંતી મહેતા તરીકેની ભૂમિકા અદા કરશે. દયાવંતી મહેતા હાલમાં સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતા નામકરણ ટીવી સિરિયલમાં લોકપ્રિય પાત્ર તરીકે છે. સંપર્ક કરવામાં આવતા રાગીણી શાહે કહ્યું હતું કે રીમા લાગુની પડકારરૂપ ભૂમિકા અદા કરવાને લઈને તે પહેલા નર્વસ હતી પરંતુ હવે આ રોલ કરવાને લઈને તે આશાાદી છે. રીમા લાગુ જેવી મોટી હસ્તીની જગ્યા ઉપર તેની પસંદગી કરવામાં આવી છે તેની લઈને તે ગર્વ અનુભવ કરે છે. રાગીણી ગુજરાતી ફિલ્મોમાં પણ હાલમાં વ્યસ્ત બનેલી છે. સાથે સાથે નાટકોમાં પણ કામ કરી રહી છે. ટેલિવિઝન ઉપર કામ કરવાને લઈને તે આશાવાદી છે. બીજી બાજુ ટીવી સિરિયલ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે રીમા લાગુના એકાએક અવસાન બાદ દયાવંતી મહેતાના રોલ માટે હવે રાગીણી શાહની પસંદગી કરવામાં આવી ચુકી છે. દયાવંતી મજબૂત અને શક્તિશાળી પાત્ર તરીકે છે. એક થિયેટર આર્ટીસ્ટ હોવાના પરિણામ સ્વરૂપે તેને આ રોલ કરવામાં તકલીફ પડે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
રાગીણી શાહનું કહેવું છે કે એક ગુજરાતી નાટક દરમ્યાન તે રીમા લાગુને મળી હતી. રીમાની પ્રશંસા કરતા રાગીણી શાહનું કહેવું છે કે નામકરણ સિરિયલમાં દયાવંતી મહેતાના પાત્રને સજીવન રાખવા માટેની બાબત સરળ રહેશે નહીં કારણ કે રીમા લાગુએ યાદગાર ભૂમિકા ખૂબ જ શક્તિશાળી અભિનય મારફતે ઉભી કરી હતી.