Aapnu Gujarat
ગુજરાત

સજીવ ખેતીના ક્ષેત્રમાં વડોદરા જિલ્‍લાના ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને અન્‍ય ખેડૂતોને માર્ગદર્શક બન્‍યા

ખેતી પાકોને રોગ જીવાતોથી બચાવવા ઉપયોગમાં લેવાતા રાસાયણીક ખાતારો અને જંતુનાશકોનના અંશો ફળફળાદી, શાકભાજી અને ધાન્ય પાકોમાં ઉતરે છે. પરિણામે કેન્‍સર અને કીડની સહિતના રોગો થાય છે એવું સંશોધનોમાં જણાયું છે. તેના પ્રતિકારના રૂપમાં રસાયણોથી મુકત અને સેન્‍દ્રીય ખાતરો આધારીત સજીવ ખેતી જગતમાં સ્‍વીકૃત બનતી જાય છે અને તેના શુધ્‍ધ અને સાત્‍વીક ઉત્‍પાદનોનું એક મોટૃં બજાર વિકસી રહયું છે. આવી ગુણકારી સજીવ ખેતીના ક્ષેત્રમાં જિલ્‍લાના વિવિધ ગામોમાં ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને સમગ્ર ખેડૂત સમુદાય માટે કૃષિના રૂષીઓ  સજીવ ખેતીના માર્ગદર્શક બન્‍યા છે.

જીલ્‍લાના નામના મેળવનારા સજીવ કૃષિકારોમાં શિનોર તાલુકાના બાવળીયાના વનરાજસિંહ ચૌહાણ, સાવલી તાલુકાના અંજેસરના રાજેશભાઇ પટેલ,, ડભોઇ તાલુકાના નંદેરીયાના યોગેશભાઇ પુરોહિત, ડેસર તાલુકાના ધરમપુરના બદ્રીભાઇ પટેલ, કરજણ તાલુકાના કાસમપુરાના પ્રવિણભાઇ પટેલ, ડેસર તાલુકાના ડુંગરીપુરાના પ્રભાતભાઇ ભોઇ, ગોરસણના ફતેસિંહ પરમાર, શિનોર તાલુકાના ટીંગલોદના ભાઇલાલભાઇ પટેલ, વાઘોડીયા તાલુકાના અંટોલીના અનિલભાઇ પ્‍ટેલ, ડભોઇના નુરમહમ્‍મદ મહુડાવાલા, સાવલી તાલકુાના શંકરપુરાના હેમંતભાઇ પ્રજાપતિ, પાદરા તાલુકાના સાધીના ઘનશ્‍યામભાઇ પટેલ, પાદરા તાલુકાના રાજપુરાના જયેન્‍દ્રભાઇ પટેલ, વાઘોડીયા તાલુકાના અમૃતપુરાના રબનીસ્‍તાન (મસ્‍તાન)પટેલ અને વડોદરા તાલુકાના પદમલાના વિમલભાઇ પટેલ જેવા પ્રગતિશીલ કૃષિકારોનો સમાવેશ થાય છે. આ પૈકીના ઘણાં સજીવ અને સુધારેલી ખેતીના ક્ષેત્રમાં તેમની સિધ્‍ધિઓ માટે રાજય સરકારનો સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ કે આત્‍મા એવોર્ડ મેળવી ચૂકયા છે.

સજીવ ખેતી-શુધ્‍ધ ખેતી હેઠળ આ ખેડૂતોએ લીંબુ, શાકભાજી, ડાંગર, ઘઉં, તુવેર, મગ, વિવિધ ફળફળાદી, રાજગરો, સોયાબીન, દાડમ, કપાસ જેવા પાકો લઇને સજીવ ખેતી લગભગ તમામ પ્રકારના બાગાયતી ધાન્‍ય અને ફળફળાદી પાકો માટે અનુકુળ હોવાનું પુરવાર કર્યું છે. આ પૈકીના ઘણાએ સજીવ ખેતીની સાથે ગોપાલન અને ગોમુત્ર-છાણ ઇત્‍યાદીનો જૈવિક રસાયણો, ખાતરો બનાવવા માટે ઉપયોગ અને તેના દ્વારા રસાયણ રહીત દોષમુકત ખેતીમાં નોંધાવવા સફળતા મેળવી છે.

સજીવ ખેતી અપનાવનારા આ તમામ ખેડૂતોની આવક અને નફામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે વર્મીકમ્પોસ્‍ટ, ટપક સિંચાઇના સજીવ ખેતી માટે સફળ વિનિયોગના દાખલા બેસાડયા છે.

સજીવ ખેતીના ક્ષેત્રમાં સાફલ્‍યગાથાઓ અંકિત કરવા માટે આ ખેડૂતોએ જાતમહેનત, સતત નવું જોવા અને જાણવાની જિજ્ઞાસા, ખેતીના પરંપરાગત વારસા સાથે કોઠાસૂઝનો મૂડી તરીકે ઉપયોગ કર્યો છે. આત્‍મા પ્રોજેકટ અને ખેતીવાડી ખાતાનું, કૃષિ મહોત્‍સવોમાં આવતા કૃષિ વૈજ્ઞાનિકો-સંશોધકોનું માર્ગદર્શન તેમને સફળતાની કેડી કંડારવામાં ઉપયોગી નીવડયું છે. તેમણે કૃષિ ક્ષેત્રમાં પરંપરાગત અને બીબાઢાળ ખેતીના વિકલ્‍પે સજીવ ખેતીની મંજીલે ઓર ભી હૈ નો માર્ગ ચીંધ્‍યો છે. તેમની આ સફળતા  જિલ્‍લાના ખેડૂતોને રાહ ચીંધે અને સજીવ ખેતીનો વ્‍યાપ વધે તે માટે ખેતીવાડી અને બાગાયત ખાતાએ કૃષિ મહોત્‍સવના અવસરે ખેડૂતોની સફળ વાર્તા નામક પુસ્‍તક પ્રકાશિત કર્યું છે.

Related posts

પેરોલ પર ફરાર આરોપી ઝડપાયો

editor

અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

editor

ગુજરાતમાં પણ કૃષિ બિલ મુદ્દે ખેડૂત આંદોલનના એંધાણ

editor

Leave a Comment

UA-96247877-1