પાસના કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા હાર્દિકને ફાળવાયેલી સુરક્ષા વ્યવસ્થા પર પુનઃ વિચારણા થઇ રહી છે અને વાય કેટેગરીની સુરક્ષા પરત ખેંચવાની તૈયારી કરાઇ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી ભાજપ વિરોધી પ્રચાર કરતા હાર્દિકની સુરક્ષાને ખતરો જોતા ૮ સુરક્ષાકર્મીઓ ફાળવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કેન્દ્રના ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે હાર્દિકના જીવને હવે જોખમ નથી.આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, હાલ મારી સાથે સુરક્ષાકર્મીઓ છે પરંતુ સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચી લેવાશે તેવી મને માહિતી મળી છે.પોતાની જાન પર ખતરો હોવાની પણ આશંકા વ્યક્ત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વાય કેટેગરીની સુરક્ષા આ રીતે પરત ખેંચવામાં આવતી નથી અને જો પરત ખેંચાય તો પણ બે સુરક્ષાકર્મી સાથે રહેતા હોય છે. આ સંજોગોમાં જો સરકાર અચાનક આવો નિર્ણય કરે તો મારી પર હુમલો કે હત્યા થવાની દહેશત નકારી શકાતી નથી.