કોંગ્રેસના દામન ઉપર મુસ્લિમોના ખૂનના નિશાનવાળા નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી એકબાજુ વધી છે ત્યારે વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ પોતાના નિવેદન ઉપર મક્કમ છે. ચારેબાજુથી ઘેરાઈ ગયા બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુરશીદે આજે આ સંદર્ભમાં ખુલાસો કર્યો હતો. ખુરશીદે કહ્યું હતું કે, તેઓએ કોઇ શખ્સના આક્ષેપોના જવાબમાં પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. સલમાન ખુરશીદે કહ્યું હતું કે, એ શખ્સે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કર્યો હતો અને તેઓએ આનો જવાબ આપ્યો હતો. તેમનો અંગત અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બાબરી મસ્જિદ ધ્વંસ અને સાંપ્રદાયિક રમખાણોને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ મુજબની વાત કરી હતી. તેમણે કબૂલાત કરી હતી કે, કોંગ્રેસના દામન પર મુસ્લિમોના ખૂનના નિશાન રહેલા છે. આજે સલમાન ખુરશીદે ખુલાસો કરતા કહ્યું હતું કે, કોઇ શખ્સ દ્વારા કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા બાદ તેઓ આ વાત કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોઇ વ્યક્તિ તેમની પાર્ટી ઉપર આક્ષેપ કરે તેને ચલાવી લેવાઈ નહીં. તેમની પાર્ટીના સંદર્ભમાં વાત કરવી તેમના માટે મહત્વની બાબત છે. સલમાન ખુરશીદે નિવેદન કર્યા બાદ ભાજપે કોંગ્રેસ પાર્ટી પર વળતા પ્રહાર કર્યા છે. કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભીવંડીથી ભાગલપુર અને મેરઠથી મલિયાના સુધી કોંગ્રેસ અને કોંગ્રેસના કહેવાતા બિનસાંપ્રદાયિક દિગ્ગજોએ નિર્દોષ લોકોની હત્યાઓને નિહાળી છે. કોંગ્રેસના શાસનકાળમાં પાંચ હજાર રમખાણો થયા હતા. જો તેઓ રમખાણોના ઇતિહાસને લઇને માફી માંગે છે તો તે બાબત યોગ્ય છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ