મદરેસા મેનેજમેન્ટમાં કોઇ પણ પ્રકારની દરમિયાનગીરીને રોકવા માટે દારૂલ ઉલુમે હવે સરકારી સહાય ન લેવા ૩૦૦૦ મદરેસાઓને આદેશ કર્યો છે. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં સ્થિત મુસ્લિમ સમુદાયની લોકપ્રિય શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમે આ આદેશ સમગ્ર દેશમાં તેમની સાથે સંબંધિત ૩૦૦૦ મદરેસા માટે જારી કર્યો છે. દારૂલ ઉલુમે કહ્યુ છે કે દેશના મદરેસાના મોટા ભાગના ખર્ચને સમુદાયના દાન દ્વારા આપવામાં આવેલા રૂપિયાથી ઉપાડવામાં આવે છે. સરકારી સહાયથી માત્ર શિક્ષકોને પગારની ચુકવણી કરવામાં આવી છે. હવે સમુદાયના દાનથી જ શિક્ષકોના પગારની પણ ચુકવણી કરવામાં આવનાર છે. સોમવારના દિવસે રાબતા એ મદરિસની બેઠક યોજાઇ હતી. જેમાં આઠ મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા. મેનેજમેન્ટને કહેવામાં આવ્યુ છે કે તેઓ પોતાની સંપત્તિના રેકોર્ડને અપડેટ કરે. દારૂલ ઉલુમે પત્ર લખીને કહ્યુ છે કે મદરેસામાં આયોજિત થનાર સમારોહ અને તહેવાર પર બીજા ધર્મના અને સમુદાયના લોકોને બોલાવવામાં આવે અને તેમની સાથે સારા સંબંધ પણ સ્થાપિત કરવામાં આવે. વર્કિંગ કમિટીમાં ૫૧ સભ્યોને રાખવામાં આવ્યા છે. જેમાં દારૂલ ઉલુમના ૧૦ શુરા સભ્યોનો સમાવેશ થાય છે. સરકારી દરમિયાનગીરીથી બચવા માટે તમામ પગલા લેવા માટે કહેવામાં આવ્યુ છે. બેઠકમાં એ બાબતને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે બિન મુસ્લિમ સમુદાયની વચ્ચે મદરેસા શિક્ષણને લઇને તેની છાપ ખરાબ થઇ રહી છે. બીજા ધર્મના લોકો સાથે સારા સંબંધ સ્થાપિત કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને અન્ય મોટા તહેવાર પર બિન મુસ્લિમ લોકોને બોલાવવા માટે કહેવામાં આવ્યુ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ