વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવીણ તોગડિયાની કારને સુરત ખાતે એક અકસ્માત નડયો હતો. એક ટ્રક દ્વારા પાછળથી ટક્કર મરાતાં ડો.તોગડિયાની કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ નોંધાઇ ન હતી અને તોગડિયાનો પણ અદ્ભુત બચાવ થયો હતો. બીજીબાજુ, ડો.પ્રવીણ તોગડિયાએ અગાઉ બે મહિના પહેલા પણ તેમનું એન્કાઉન્ટરની દહેશત વ્યકત કરી હતી અને આજે થયેલા આ અકસ્માતને પગલે ડો.પ્રવીણી તોગડિયાનું કાસળ કાઢવાનું ષડયંત્ર હોવાની ચર્ચાએ પણ રાજકીય વર્તુળમાં જોર પકડયું હતું. દરમ્યાન ડો.તોગડિયાએ આ સમગ્ર ઘટનાને એક ખતરનાક ષડયંત્ર ગણાવી તે અંગે તપાસ કરવા માંગણી કરી હતી. એટલું જ નહી, અકસ્માત બાદ ડો.તોગડિયાએ સુરતમાં જ પત્રકાર પરિષદ કરી તેમાં એક તબક્કે વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના તેમની પર ગંભીર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તૂટે તો દુઃખ થાય છે પરંતુ જયારે ગૌરક્ષકોને ગુંડા કહેવામાં આવે છે તો દુઃખ થતું નથી. સંગઠનથી હટાવી શકયા નહી એટલે હવે બીજો રસ્તો અપનાવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપના સિનિયર નેતા આત્મારામ પરમારના ધોતિયાકાંડનો કેસ ૨૧ વર્ષ પછી કેમ ચાલુ કરવામાં આવ્યો અને અચાનક કેવી રીતે પાછો ખેંચાઇ ગયો, તે બધા જાણે જ છે. સમય આવશે ત્યારે મને કોઇ હટાવવા માંગે છે તે વિશે હું પર્દાફાશ કરીશ. હિન્દુઓ માટે મોતનો ડર છોડીને નીકળ્યો છું. દરમ્યાન ડો.તોગડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત પોલીસ પ્રત્યે મને વિશ્વાસ છે પરંતુ પોલીસ વિભાગને ગઇકાલે જ લેખિતમાં માહિતી આપી દેવાઇ હતી છતાં ઝેડ પ્લસ સુરક્ષામાં મળતી એસ્કોર્ટ કાર આપવામાં આવી ન હતી. મારી કારને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ટ્રક ડિવાઇડર પર ચઢી જવા છતાં ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. હું કારમાંથી અચાનક ઉતરી ગયો હતો. આ સ્પષ્ટ રીતે સુરક્ષામાં ચૂક છે. પરંતુ આ સમગ્ર અકસ્માત નિશંકપણે શંકા જન્માવે છે. ડો.તોગડિયાએ ડ્રાઇવરના ત્રણ મહિનાના કોલ રેકર્ડ ચેક કરવાની અને તેની તમામ માહિતીની તપાસ કરવાની માંગણી કરી હતી. ડ્રાઇવરે ટ્રકને રોકી પણ ન હતી અને તેથી મેં જ ડ્રાઇવરને પકડાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ડો.પ્રવીણ તોગડિયાએ વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતના સચિન વિસ્તારમાં શ્રી હરિ કોમ્પલેક્ષમાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા હતા તે દરમ્યાન કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલર નંબર જીજે-૦૧-ડીએક્સ૦૮૯૩ દ્વારા ડો.તોગડિયાની સ્કોર્પીઓ કારને ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે કારને ઘણુ નુકસાન થયુ હતુ પરંતુ ડો.તોગડિયાઓનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા બાદમાં તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યા હતા.