રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ પગલા-નિર્ણયો વર્તમાન સરકારે લીધા છે. સમગ્ર દેશમાં જમીન રીસર્વેની કામગીરીમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. ગુજરાતની જમીન રી-સર્વેની પારદર્શક કામગીરી ઉપરથી દેશના અન્ય ૧૪ જેટલા રાજ્યોએ તેનું અનુકરણ-અભ્યાસ કર્યો છે, જે આપણા માટે ગૌરવ સમાન છે. રાજ્યના ખેડૂતોને જમીન રી-સર્વેની કામગીરીમાં અન્યાય જણાય તો તેઓ આ સંદર્ભે ફરીથી અરજી કરી શકે છે, જ્યાં સુધી ખેડૂતને સંતોષ ન થાય ત્યાં સુધી તેને અંતિમ સ્વરુપ નહીં અપાય, તેમ આજે વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતરી આપી હતી. ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં ૩૧-૧૨-૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જમીન રી-સર્વેની કામગીરીમાં પાણી રેકર્ડમાં ક્ષતિઓ અંગેની અનુક્રમે ૪૧૨૨ અને ૧૨ ફરિયાદો મળી હતી. આ તમામ ૪૧૩૪ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જમીન રીસર્વે અંગે ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું. મહેસુલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર વખતે ૨૦૧૦માં જમીન માપણીના આધુનુક રેકોર્ડ માટે નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ અમલી બનાવ્યો છે જેમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતે નોંધનીય કામગીરી કરી છે. રાજ્યમાં જમીન રી સર્વે અંગેની ૯૮ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આ નવીન પદ્ધતિથી ખેડૂતોને તેમની જમીનની હદ, માપ, નક્શો અને ગેરકાયદેસર દબાઓ દૂર થયા છે જે ખેડૂતોના હિતમાં છે ડિજિટલ રેકોર્ડથી જમીન સર્વેમાં પારદર્શિતા અને અપડેશન થયું છે તમામના રેકોર્ડનું આધુનિકીકરણ થવાથી એકસુત્રતા જળવાઈ છે તેમ મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.