ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિનને કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૧મી સિઝનમાં તે કેપ્ટન તરીકે રહેશે. કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા આજે આની વિધિવતરીતે જાહેરાત કરવામાં આવી હતી. ટીમના ટિ્વટર હેન્ડલ પર આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પંજાબે અશ્વિનને ૭.૬ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સમાં રવિચંદ્રન અશ્વિનને આ વખતે જાળવવામાં આવ્યો નથી. અશ્વિનની સાથે આ ટીમમાં યુવરાજસિંહ, ડેવિડ મિલર અને ક્રિસ ગેઇલ જેવા ધુરંધર ખેલાડીઓ પણ છે પરંતુ કેપ્ટન તરીકેની જવાબદારી આ વખતે અશ્વિનને સોંપવામાં આવી છે. જો કે, પંજાબ સાથે કિંગ્સ ઇલેવનમાં અશ્વિન જોડાયો ત્યારથી જ તેને કેપ્ટન બનાવવાની વાત ચાલી રહી હતી પરંતુ હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની શરૂઆત સાતમી એપ્રિલના દિવસે કરવામાં આવનાર છે. અંતિમ મેચ ૨૭મી મેના દિવસે થશે. રવિચંદ્રન અશ્વિનની ટીમમાં ડેવિડ મિલર, યુવરાજ સિંહ પણ સામેલ છે. એરોન ફિન્ચનો પણ આ ટીમમાં સમાવેશ થાય છે. રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વમાં રહેલી ટીમમાં અનેક યુવા ખેલાડી પણ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં વિદેશી અને સ્થાનિક ખેલાડીઓને સંતુલન સાથે રાખવામાં આવ્યા છે. ટીમમાં યુવા ખેલાડી ભવ્ય દેખાવ કરવા સજ્જ છે.