જમ્મુકાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા ત્રાસવાદીઓ પૈકી એક ત્રાસવાદીની વય માત્ર ૧૬ વર્ષની હતી અને તે ૧૦માં ધોરણનો વિદ્યાર્થી હતો. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રાલ વિસ્તારનો નિવાસી ૧૬ વર્ષીય ત્રાસવાદી ફરદીન અહેમદ ખાન ૧૦માં ધોરણનો વિદ્યાર્થી હતો. ફરદીનના પિતા જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ છે. સીઆરપીએફ કેમ્પ પર હુમલો ગઇકાલે કરવામાં આવ્યો હતો. અડધી રાત્ર બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારે અડધી રાત્ર બાદ કરવામાં આવેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ જવાબી કાર્યવાહી કરવામાં આવતા સુરક્ષા દળોએ બન્ને ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા.
રવિવારના દિવસે મોડેથી ઓપરેશનના સંબંધમાં માહિતી આપવામાં આવી હતી. એડિશનલ જીડી સીઆરપીએફે માહિતી આપતા કહ્યુ હતુ કે અમારી પાસે માહિતી હતી કે એકાએક કોઇ હુમલો થઇ શકે છે. અમારા જવાન સાવધાન પણ હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જે પૈકી એક પુલવામાંનો નિવાસી મંજુર અહેમદ બાબા અને બીજો ત્રાલનો ફરદીન અહેદમ હોવાની વિગત ખુલી છે. અથડામણમાં શહીદ થયેલા જવાનોની ઓળખ પણ કરી લેવામાં આવી છે જેમાં કેપ્ટન શરીફ ઉદ દીન ગનાઇ, તૌફીલ અહેમદ, રાજેન્દ્ર નૈન, પ્રદીપ કુમાર પંડા અને ઇન્સ્પેક્ટર કુલદીપ રોયનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેશે મોહમ્મદે વર્ષ ૨૦૧૬માં પઠાણકોટ એરફોર્સ બેઝ પર પણ આવી જ રીતે હુમલો કર્યો હતો. નવા વર્ષની ઉજવણી વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો હતો.
પહેલી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે કરવામાં આવેલા હુમલામાં સાત ભારતીય જવાનો શહીદ થયા હતા. એ વખતે અથડામણ ૯૦ કલાક સુધી ચાલી હતી. આંકડા દર્શાવે છે કે યુદ્ધમાં જેટલા જવાનો શહીદ થયા છે તેના કરતા વધુ જવાનો ત્રાસવાદી હુમલામાં શહીદ થયા છે. હુમલા બાદ હવે ફરી લોકોમાં નારાજગી છે.