ઉત્તર પ્રદેશનાં ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ૭૦થી વધુ બાળકોનાં મોતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સરકારી હોસ્પિટલની લાપરવાહીનો વધુ એક મામલો ઝારખંડમાં બહાર આવ્યો છે. જમશેદપુરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છેલ્લા ૩૦ દિવસમાં બાવન નવજાત શિશુનાં મોત થયાં છે, જોકે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે આ મોત માટે કુપોષણને જવાબદાર ગણાવ્યું છે.સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર મૃતકોમાં નવજાત બાળકોનો સમાવેશ થાય છે. રાંચીની હોસ્પિટલોમાં ૧૧૭ દિવસમાં ૧૬૪ બાળકોનાં મોત થઇ ચૂક્યાં છે. જમશેદપુરની એમજીએમ હોસ્પિટલમાં બાળકોનાં ઉપરાછાપરી મોતને કારણે માતા-પિતામાં ભય વ્યાપી ગયો છે. જમશેદપુરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલની સ્થાપના ૧૪ નવેમ્બર ૧૯૬૧ના રોજ થઈ હતી. ૧૯૭૯માં બિહાર સરકારે આ હોસ્પિટલને હસ્તગત કરી હતી. ૨૦૧૦થી આ કોલેજ ચાઇબાસાસ કોલ્હાન યુનિર્વિસટી સાથે સંકળાયેલી છે.
અગાઉ ઓગસ્ટ મહિનામાં જ ઉત્તર પ્રદેશનાં ગોરખપુર ખાતેની બાબા રામદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૭૦થી વધુ બાળકોનાં મોત થયાં હતાં. ઓક્સિજનના અભાવે ૪૮ કલાકમાં ૩૦ બાળકો મૃત્યુ પામ્યાં હતાં. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ મોત માટે તપાસપંચ નીમ્યું હતું અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.