ભારતમાં સૌથી આકર્ષક પ્રોફેશન તરીકે મેડિકલ અથવા એન્જિનિયરિંગના નામ લેવામાં આવે છે, પરંતુ જોબ શોધવામાં એન્જિનિયરિંગની ડિગ્રી ઉપયોગી રહી નથી. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં એન્જિનિયરિંગના જેટલા ગ્રેજ્યુએટ બહાર પડે છે તેમાંથી માત્ર 10 ટકાને જોબ મળી શકશે. એટલે કે દર 10માંથી માત્ર એક એન્જિનિયર જોબ મેળવી શકશે. આ વર્ષે દેશમાં 15 લાખ યુવાનો એન્જિનિયર થશે જેમાંથી 1.50 લાખની આસપાસને પોતાના ફિલ્ડમાં જોબ મળશે. બાકીના લોકોએ પોતાના ફિલ્ડની બહાર કામ શોધવું પડશે.
અત્યારે મોટા ભાગના બિઝનેસ આર્થિક નરમાઈનો સામનો કરી રહ્યા છે ત્યારે એન્જિનિયરો માટે સારી જોબ શોધવી મુશ્કેલ છે. આઈટી કંપનીઓમાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હાયરિંગમાં 35થી 40 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. ભારતમાં કોવિડ અગાઉ 1.60 લાખ જેટલા એન્જિનિયરને હાયર કરવામાં આવતા હતા. આગામી વર્ષે ફરીથી તે આંકડો આવી જાય તેવી શક્યતા છે. ચાલુ વર્ષમાં 2.30 લાખ એન્જિનિયરોને જોબ પર હાયર કરવામાં આવ્યા હતા.
ભારતમાં બિઝનેસ જગતમાં નવા ફેરફાર આવ્યા છે તેના કારણે પણ એન્જિનિયરોની ભરતીને અસર થવાની છે. નાણાકીય વર્ષ 2022માં ફ્રેશરની ભરતીનો આંકડો 4 લાખ સુધી પહોંચી ગયો હતો. ત્યાર પછી ભરતી ઘટી છે અને એટ્રીશન દર 30 ટકાની ઉપર ગયો છે. હવે એટ્રિશન દર ઘટ્યો છે અને 16થી 18 ટકાની આસપાસ છે કારણ કે જોબ મળવી મુશ્કેલ છે.
જોકે, એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે આવી ચેલેન્જિંગ સ્થિતિ વચ્ચે પણ ક્યાંક આશાના કિરણ દેખાય છે. હાલમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોન-ટેક્નોલોજી સર્વિસિસમાં જોબની તક છે. ખાસ કરીને બેન્કિંગ, ફાઈનાન્સ, ઈન્શ્યોરન્સ સર્વિસમાં જોબ મળી શકે છે. આ ઉપરાંત રિટેલ, મીડિયા, કન્ઝ્યુમર બિઝનેસ, લાઈફ સાયન્સિસ, હેલ્થકેર, એન્જિનિયરિંગ R&Dમાં એન્ટ્રી લેવલના હાયરિંગમાં વધારો થયો છે. પરંતુ તેમાં સ્કીલ જોવામાં આવે છે. એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી પણ લોકો સીધા રોજગારી મેળવવા માટે લાયક નથી હોતા. લગભગ 45 ટકા એન્જિનિયરો ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત પ્રમાણે તાલીમબદ્ધ હોતા નથી તેમ એક્સપર્ટ જણાવે છે.