ICCએ આ વર્ષે ભારતની મેજબાનીમાં યોજાવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ જારી કર્યું છે. હવે પાંચમી ઓક્ટોબરથી મેચ શરુ થશે, જ્યારે ફાઈનલ મુકાબલો 19 નવેમ્બરના રોજ જ રમાશે. નવા શેડ્યૂલમાં ભારત પાકિસ્તાન મેચ સહિત કુલ 9 મુકાબલામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારો મુકાબલો 15ના બદલે એક દિવસ પહેલાં એટલે કે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થતાં જ અમદાવાદમાં મેચને લઈ તૈયારીઓ ઝડપી થઈ ગઈ છે. અહીં ફેન્સે હોટલ્સના રુમ પણ પહેલેથી જ બુક કરાવી લીધા છે. જેના કારણે હોટલ રુમના ભાડા આસમાને પહોંચ્યા છે. ફાઈવ સ્ટાર હોટલમાં એક દિવસના રુમનું ભાડુ 20 હજારથી અઢી લાખ રુપિયા સુધી પહોંચી ગયું છે. જો કે, હજુ સુધી તો મેચની ટિકિટનું વેચાણ પણ શરું થયુ નથી. આસીસીએ વર્લ્ડ કપ માટે ટિકિટોની જાહેરાત કરી દીધી છે. ટિકિટ મેળવવા માટે ફેન્સે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એ પછી જ ટિકિટ ખરીદી શકાશે. આ રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરુ થઈ ગયું છે.