Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી અબજાેની આવક મેળવી

રેલવેએ માર્ચ ૨૦૨૦ થી બે વર્ષમાં વરિષ્ઠ નાગરિક મુસાફરો પાસેથી રૂ. ૧,૫૦૦ કરોડની વધારાની આવક મેળવી છે. કોરોના વાયરસ મહામારી શરૂ થયા પછી વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ટિકિટ રાહત સ્થગિત કરવામાં આવી હતી.
માહિતી અધિકાર હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાંથી આ માહિતી મેળવવામાં આવી છે. મધ્યપ્રદેશના ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરાયેલ આરટીઆઈ પ્રશ્નના જવાબમાં, રેલ્વેએ જણાવ્યું હતું કે ૨૦ માર્ચ, ૨૦૨૦ થી ૩૧ માર્ચ, ૨૦૨૨ વચ્ચે, રેલ્વેએ ૭.૩૧ કરોડ વરિષ્ઠ નાગરિક મુસાફરોને રાહત આપી નથી. તેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૪.૪૬ કરોડ પુરૂષો, ૫૮ વર્ષથી ઉપરની ૨.૮૪ કરોડ મહિલાઓ અને ૮,૩૧૦ ટ્રાન્સજેન્ડર લોકોનો સમાવેશ થાય છે. આરટીઆઈના જવાબ મુજબ, આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિક મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલી કુલ આવક રૂ. ૩,૪૬૪ કરોડ છે, જેમાં કન્સેશન સસ્પેન્શનના કારણે મળેલા વધારાના રૂ. ૧,૫૦૦ કરોડનો સમાવેશ થાય છે.
વરિષ્ઠ નાગરિકોની કુલ આવકમાં લિંગ મુજબની આવક પરના આરટીઆઇ જવાબમાં જણાવાયું છે કે પુરૂષ મુસાફરોને રૂ. ૨,૦૮૨ કરોડ, મહિલા મુસાફરોને રૂ. ૧,૩૮૧ કરોડ અને ટ્રાન્સજેન્ડરને રૂ. ૪૫.૫૮ લાખ મળ્યા હતા. મહિલા વરિષ્ઠ નાગરિક મુસાફરો ૫૦ ટકા કન્સેશન માટે પાત્ર છે, જ્યારે પુરૂષો અને ટ્રાન્સજેન્ડરો તમામ વર્ગોમાં ૪૦ ટકા કન્સેશન મેળવી શકે છે. છૂટ મેળવવા માટેની લઘુત્તમ વય મર્યાદા મહિલા માટે ૫૮ છે, જ્યારે પુરુષ માટે ૬૦ વર્ષ છે.
દેશમાં કોરોનાવાયરસ મહામારીનો ભોગ બન્યા પછી માર્ચ ૨૦૨૦ થી જે છૂટછાટો પર રોક મૂકવામાં આવી હતી તે આજ દિન સુધી સ્થગિત છે. વરિષ્ઠ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેને કદાચ જાળવી રાખવામાં આવશે નહીં. વર્ષ ૨૦૨૦માં અને ૨૦૨૧માં થોડા સમય માટે ટ્રેન સેવાઓ સ્થગિત રહી હતી, પરંતુ હવે જેવી સેવાઓ સામાન્ય થઈ ગઈ છે, ત્યારે રાહતની માગ વધવા લાગી છે.
રેલ્વે છૂટછાટો છેલ્લા બે દાયકામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, ઘણી સમિતિઓએ તેને પાછી ખેંચવાની ભલામણ કરી છે. પરિણામે, જુલાઈ ૨૦૧૬ માં, રેલવેએ વૃદ્ધો માટે વૈકલ્પિક છૂટછાટો આપી. વિવિધ પ્રકારના મુસાફરોને આપવામાં આવતી લગભગ ૫૩ પ્રકારની છૂટને કારણે રેલ્વેને દર વર્ષે લગભગ ૨,૦૦૦ કરોડ રૂપિયાનો મોટો બોજ સહન કરવો પડે છે.
વરિષ્ઠ નાગરિક રાહત રેલવે દ્વારા આપવામાં આવેલી કુલ છૂટના લગભગ ૮૦ ટકા જેટલી છે. અગાઉ રેલ્વેએ લોકોને તેમની વરિષ્ઠ નાગરિક રાહતો છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. વાસ્તવમાં, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ૨૦૧૯ના અહેવાલ મુજબ, વરિષ્ઠ નાગરિક મુસાફરોની ‘ગીવ ઈટ અપ’ યોજનાનો પ્રતિસાદ બહુ પ્રોત્સાહક નહોતો. અહેવાલમાં જણાવાયું છે કે કુલ ૪.૪૧ કરોડ વરિષ્ઠ નાગરિક મુસાફરોમાંથી, ૭.૫૩ લાખ (૧.૭ ટકા) એ ૫૦ ટકા કન્સેશન છોડી દેવાનું પસંદ કર્યું અને ૧૦.૯ લાખ (૨.૪૭ ટકા) એ ૧૦૦ ટકા છૂટ છોડી દીધી.

Related posts

૨ ઓક્ટોબરથી બિનધૃણાસ્પદ ગુનાઓનાં દોષિતોને મુક્ત કરાશે

aapnugujarat

ગૌમાંસ મામલે નાગપુરમાં કરી વેપારીની ધોલાઈ

aapnugujarat

Fire at Terminal 1 gate of Serum Institute of India, Pune

editor

Leave a Comment

UA-96247877-1