નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કેવી રીતે અવસાન પામ્યા..? આ સવાલનો જવાબ આપવા માટે ભારત સરકારે અત્યાર સુધીમાં ત્રણ કમિશનોની રચના કરી છે. ૧૯૫૬માં રચાયેલા શાહનવાઝ પંચ અને ૧૯૭૦માં રચાયેલા ખોસલા પંચે એવું તારણ આપ્યું હતું કે ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ નેતાજી જાપાનના આધિપત્ય હેઠળ આવેલા તાઇપેઈ ખાતેના તાઇહોકુ એરપોર્ટ પર થયેલા વિમાન અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. જ્યારે ૧૯૯૯માં રચાયેલા મુખરજી કમિશને એવું તારણ આપ્યું હતું કે નેતાજી પ્લેન ક્રેશમાં નહોતા અવસાન પામ્યા. જોકે કેન્દ્ર સરકારે મુખરજી કમિશનનો અહેવાલ ફગાવી દીધો હતો. સત્ય જે હોય તે પરંતુ ભારતના ઇતિહાસમાં રસ ધરાવતા સ્કોલર્સ હજી પણ આ સવાલનો જવાબ મેળવવા માટે મથી રહ્યા છે.પેરિસ સ્થિત ઇતિહાસકાર જે. બી. પી. મોરે ૧૯૪૭ની ૧૧ ડિસેમ્બરના રોજ નોંધવામાં આવેલા ફ્રાન્સ સરકારના ગુપ્ત અહેવાલને ફ્રાન્સની નેશનલ આક્રાઇવ્ઝમાંથી મેળવીને એવો દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોઝ પ્લેન ક્રેશમાં અવસાન પામ્યા નહોતા અને તેઓ ૧૯૪૭ સુધી જીવતા હતા.પેરિસ સ્થિત એક ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થામાં ભણાવતા મોરેએ કહ્યું હતું કે એ ડોક્યૂમેન્ટમાં એવું જણાવવામાં આવ્યું નથી કે સુભાષ ચંદ્ર બોઝ તાઇવાનમાં એરક્રેશમાં અવસાન પામ્યા હોય. જોકે એવું પણ નોંધવામાં આવ્યું છે કે ૧૯૪૭ના ડિસેમ્બરમાં બોઝના વાવડ મળતા નથી. આ અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ થયેલા પ્લેનક્રેશમાંથી તેઓ હેમખેમ ઉગરી ગયા હતા અને ક્યાંક ગાયબ થઈ ગયા હતા.તે સમયે બ્રિટિશ અને જાપાનીઝ સરકારોએ સત્તાવાર રીતે બોઝનું અવસાન પ્લેનક્રેશમાં થયું હોવાનું જાહેર કર્યું હતું. જોકે આ મુદ્દે ફ્રાન્સ સરકાર હંમેશા ચૂપ રહી છે. રસપ્રદ વાત એ છે કે તે સમયે વિયેતનામ અને ઇન્ડોચાઇના તરીકે ઓળખાતો તાઇવાની પ્રદેશ ફ્રાન્સ સરકારના કબજામાં હતો. તેના કારણે આ ખુલાસો વધુ રસપ્રદ બની જાય છે.
આગળની પોસ્ટ