અમદાવાદ શહેરમાં સોમવારે બપોરે બે કલાકમાં વરસેલા ૩.૫ ઈંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગની પોલ ખોલી નાંખી છે.માત્ર એ.સી.ઓફિસમાં બેસીને કામ કરતા ઈજનેરના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાકટરો સાથેની મિલીભગતના કારણે આ વર્ષે શહેરના રોડ રીસરફેસ કરવાનુ બજેટ રૂપિયા ૧૫૦ કરોડ ઉપર પહોંચશે એમ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.હદ તો ત્યાં થઈ છે કે શહેરના નવા પશ્ચિમઝોનમાં આવેલા બોડકદેવ,ગોતા અને થલતેજ એમ ત્રણ વોર્ડમાં કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલા રોડ ગેરંટી પીરીયડમાં જ પાંચ વખત તૂટી જવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ત્રણ વર્ષ અગાઉ એટલે કે વર્ષ-૨૦૧૪-૧૫માં ચોમાસાની મોસમમાં શહેરના વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તાઓના રીસરફેસીંગ માટે રૂપિયા ૭૦ કરોડનું બજેટ ફાળવવામાં આવતુ હતુ.જે માત્ર ત્રણ જ વર્ષમાં આ વર્ષે ડબલ કરતા પણ વધીને રૂપિયા ૧૫૦ કરોડ ઉપર પહોંચી જશે એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એક સિનીયર અધિકારીએ કહ્યુ છે.તેમના કહેવા પ્રમાણે એ સમયે રસ્તાઓના રીસરફેસીંગની કાર્યવાહી જ્યાં જયાં હાથ ધરવામાં આવતી હતી તે તમામ સ્થળોએ મ્યુનિ.ના એડીશનલ સિટી ઈજનેરથી લઈને આસીસ્ટન્ટ સિટી ઈજનેર સુધીના સ્ટાફની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી સતત નજર રહેતી હતી.હવે તો ઈજનેરના અધિકારીઓ તેમને ફાળવવામાં આવેલી ચેમ્બરની બહાર પણ નીકળતા નથી.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગના અધિકારીઓ કેટલી હદે લાપરવાહ છે તેનો નમુનો શહેરના નવા પશ્ચિમઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ અને ગોતા વોર્ડમાં સામે આવવા પામ્યો છે.આ ત્રણે વોર્ડમાં તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને રોડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.કોન્ટ્રાકટરે કામગીરી તો પુરી કરી પરંતુ જે ગેરંટી પીરીયડ આપવામાં આવ્યો હતો આ સમયમાં પાંચ વખત નવા બનાવાયેલા રોડ તૂટી જવા છતાં મ્યુનિ.દ્વારા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં આવી નથી.આમ લોકોએ ભરેલા ટેકસના નાણાંનો કેટલી બેરહેમીપૂર્વક મ્યુનિ.ના ઈજનેર વિભાગના અધિકારીઓ દ્વારા વેડફાટ કરવામાં આવી રહ્યો છે તે બાબત સપાટી ઉપર આવવા પામી છે.