ગોધરાની જાણીતી શેઠ પી.ટી.આટ્ર્સ એન્ડ સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે. આ વિભાગ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેવી કે ગામડામાં રેસિડેન્સિયલ કેમ્પનું આયોજન, વૃક્ષારોપણ, સ્વાસ્થ્ય અને યોગને લગતી પ્રવૃતિઓ, કાયદાના વ્યાખ્યાનો, કલા – સાહિત્ય વિજ્ઞાનના પ્રોજેકટ એક્ઝિબિશન ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસને લગતી ઘણી બધી પ્રવૃતિઓ થયેલ છે. કોલેજના વિદ્યાર્થી વિશ્વકર્મા પવનકુમાર પોતે ખૂબ સારા ચિત્રકાર અને રંગોળીના કલાકાર છે, તેમણે શિમલા ખાતે એન.આઈ.સી. કેમ્પ, ભુજ ખાતે એન.આઈ.સી કેમ્પ, નોઇડા ખાતેના નેશનલ કેમ્પમાં કોલેજ અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.નું અને શેઠ પી.ટી.આટ્ર્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાનું નામ રોશન કર્યુ હતું જ્યારે આજ કોલેજના બોટની વિષયમાં આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. રૂપેશ નાકરે ગોધરાની બાજુના ગામ સામલી અને દરૂણીયા ખાતે સતત ત્રણ ત્રણ કેમ્પનું આયોજન કર્યુ હતું જેમાં વિદ્યાર્થીઓ સાથે રહીને ગ્રામજનોના વિકાસ માટે પ્રયત્નો કર્યાં હતાં. તેમના માર્ગદર્શનથી ૧૪ થી પણ વધુ વિદ્યાર્થીઓએ નેશનલ અને ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ સુધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેઓ પોતે સારા ગાયક છે અને યુનિ. કક્ષાનાં ઘણાં કાર્યક્રમોમાં આયોજક ઉપરાંત ગાયક તરીકે પણ સેવા આપેલ છે. પોતે વનસ્પતિ શાસ્ત્રી હોય તેમણે વિજ્ઞાનના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ ફોરેસ્ટ કેમ્પ, વનસ્પતિ ઓળખ કેમ્પ, થેલેસેમિયા ચેકિંગ કેમ્પ, બ્લડ ચેક અપ સેમિનાર ઉપરાંત આંખ અને બોડી ચેકઅપ કેમ્પસનું પણ આયોજન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે કરેલ છે. હાલ કોવિડ-૧૯ના સમયમાં પણ કોલેજની કામગીરી ખુબજ સુંદર રહી હતી જેમાં કોલેજ દ્વારા માસ્ક વિતરણ, પીસીમેસ વિભાગમાં કામગીરી, સોશ્યલ મિડિયા મેસેજ બનાવવા ઉપરાંત બીજી ઘણી પ્રવૃતિઓ કરી હતી. કોલેજના એન.એસ.એસ. વિભાગને કલેક્ટર ઓફિસ પંચમહાલ તરફથી છેલ્લા બે વર્ષથી બેસ્ટ વોટિંગ લિટરસી ક્લબનો એવોર્ડ પણ મળેલ છે. આ બધી પ્રવૃતિઓને ધ્યાને લઈને શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.ની પસંદગી સમિતિ દ્વારા ડૉ. રૂપેશ નાકરને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ. અને વિશ્વકર્મા પવનને બેસ્ટ સ્ટુડન્ટ બોય વોલેંટિયર એન.એસ.એસ.ના એવોર્ડ માટે પસંદ કરાયા છે જ્યારે બેસ્ટ ગર્લ વોલંટિયરનો એવોર્ડ કાંકણપુર કોલેજની વિદ્યાર્થિની માનસી ખૂંટને પ્રાપ્ત થયો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત થતાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.અનિલ સોલંકી, મિડિયા કન્વીનર ડો. અજય સોની, એન.એસ.એસ.ના નરસિંહ પટેલ ઉપરાંત કોલેમના આચાર્ય ડો. એમ.બી.પટેલ સહિતના મહાનુભાવોએ કોલેજના ડો. રૂપેશ નાકરને તથા વિશ્વકર્મા પવનને શુભકામનાઓ આપી હતી.
(વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)