મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બપોરે ૧ કલાકે એપીએમસી મેદાન ડભોઇ ખાતે વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે. મુખ્યમંત્રી રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-૨નું લોકાર્પણ કરશે. આ યોજના દ્વારા ડભોઇ તાલુકાના ૭૪ ગામો અને ૧૪ નર્મદા વસાહતોની ૮૯ હજાર ઉપરાંત વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૮૪.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇન (પેકેજ-૧ અને પેકેજ-૨) યોજનાનું ખાત મુહૂર્ત સંપન્ન થશે. આ યોજના સાકાર થતા વડોદરા તાલુકાના (દક્ષિણ) ૪૯ અને કરજણ શહેર સહિત તાલુકાના ૯૩ અને શિનોર તાલુકાના ૪૧ સહિત ૧૮૩ ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે. મહી નદી આધારિત પાદરા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રી કરશે. અંદાજે રૂ.૧૬૧.૦૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ યોજના હેઠળ પાદરા શહેર સહિત તાલુકાના ૮૦ અને વડોદરા તાલુકાના ૮ સહિત ૮૮ ગામો અને ૩૪ પરાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશ પટેલ, સાસંદ સર્વ રંજન ભટ્ટ, ગીતા રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય સર્વ શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ, જીતેન્દ્ર સુખડીયા, મધુભાઇ શ્રીવાસ્તવ, મનિષા વકીલ, સીમા મોહિલે, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)
પાછલી પોસ્ટ