સામાન્ય વર્ગ હોય કે ગરીબ વર્ગ એસટીની સવારી સલામતીની સવારી ગણવામાં આવે છે. એસટી શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ સેવા આપે છે. શહેરા તાલુકાના ગામ એવા પાદરડી – ગોધરા ( વાયા શહેરા) થઈને ચાલતી એસટી બસનો રુટ બંધ કરી દેવામાં આવતાં રોજ મુસાફરી કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે. આ મામલે મંગલીયાણા ગામના સરપંચ દ્વારા બસ સેવા ચાલુ કરવા માટે પંચમહાલ જીલ્લાના એસટી વિભાગને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાદરડી – ગોધરા ( વાયા શહેરા) બસ જે ઘણાં વર્ષોથી ચાલુ હતી જે હાલ બંધ કરી દેવામાં આવી છે. આ બસને કારણે ખાસ કરીને મંગલીયાણા, ગોપી, પાદરડી સહિતના ગામોમાં અપડાઉન કરનારા મુસાફરો માટે આશીર્વાદ સમાન હતી. આ મામલે મંગલીયાણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ પંચમહાલ વિભાગીય નિયામકને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે ગોધરાથી શહેરા વાયા ગોપી મંગલીયાણા પાદરડી નાઈટ બસ ૨૦ વર્ષથી ચાલતી હતી અને અમારા જાણવા મળ્યા મુજબ આ બસ ગોધરાથી સેગવા પાદરડી માતરીયા નાઈટ શરૂ કરવામાં આવનાર છે. વધુમાં જણાવાયું છે કે, શહેરા વાયા ગોપી મંગલીયાણા પાદરડી નાઈટ બસ બંધ કરવાના કારણે ઘણી મુશ્કલી પડે છે. આ રુટ પર ફકત એક જ બસ ચાલુ છે અને આ બસ બંધ થવાથી રોજીંદા મજુર વર્ગ તેમજ ધંધા રોજગાર માટે આવવા – જવા વાળા લોકો માટે ઘણી મુશ્કેલી પડે છે જેથી ગોધરા શહેરા વાયા ગોપી મંગલીયાણા પાદરડી નાઈટ બસ ચાલુ કરવા લેખિત રજુઆતમાં જણાવાયું છે.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)