ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદભાર સંભાળ્યા બાદ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો અને બાદમાં તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. સીઆર પાટીલે હવે એક મોટો નિર્ણય લીધો છે. સી.આર. પાટીલે ૬ નગરપાલિકાના ૩૮ સભ્યોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સભ્યો સામે આ પગલા ભરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ૬ નગરપાલિકાના કુલ ૩૮ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં ખેડભ્રહ્મા નગરપાલિકાના ૨, હારીજના ૫, થરાદના ૩, રાપરના ૧૩, ઉપલેટાના ૧૩ અને તળાજા નગરપાલિકાના ૨ સભ્યોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, હાલમાં જે નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આ સભ્યોએ પાર્ટીના મેન્ડેટનો અનાદર કરીને તેની વિરુદ્ધમાં મત આપ્યા હતા. હવે પ્રદેશ પ્રમુખે આવા સભ્યો સામે પગલા ભર્યા છે. સસ્પેન્ડ કરાયેલા ૩૮ લોકોમાં કચ્છ અને રાજકોટના સૌથી વધુ લોકો સામેલ છે.
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ રાજ્યની કેટલીક નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ હતી જેમાં ભાજપના કેટલાક સભ્યો દ્વારા બળવો કરી કોંગ્રેસને સાથ આપ્યો હતો. જેથી ભાજપની હાર થઇ હતી. કેટલીક નગરપાલિકામાંઓ તો ભાજપના સભ્યોના અનાદરના કારણે તેમણે ૨૫ વર્ષ બાદ સત્તા ગુમાવવાની દાડો આવ્યો છે. તો ક્યાંક ૧૮ વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી ગઇ છે.
નોંધનિય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ૩૮ સભ્યોને સસ્પેન્ડ કરી તમામ સભ્યોને એક સંદેશ આપવા માંગે છે કે, જો આગામી સમયમાં પક્ષનો કોઇ અનાદર કરશે તે સાંખી લેવામાં આવશે નહી.