છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છત્રાલી ,વણઘા અને નવાટિમ્બરવા ગામે વિવિધ વિકાસના કાર્યોનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા એટીવીટી ડિરેક્ટર પરિમલ પટેલ, ગામના સરપંચ રંજનબેન તડવી (છત્રાલી ), ચંપાબેન તડવી (નવાટિમ્બરવા ), રમણભાઈ નાયક (વણઘા ), પંચાયત સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સરપંચો દ્વારા સાંસદ ગીતાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીતાબેન રાઠવાએ છત્રાલી ગામે એટિવિટીની ગ્રાન્ટમાંથી ૧.૫૦ લાખના સીસી રસ્તાનું લોકાર્પણ કર્યું હતું જયારે વણઘા ગામે ૨ લાખના સીસી રસ્તાનું કામ અને નવાટિમ્બરવા ગામે ૨ લાખના સીસી રસ્તાનું કામ,૭૦,૦૦૦ ની એલઇડીના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ સાંસદે ત્રણ ગામોમાં ૬ લાખથી વધુના વિકાસના કાર્યોને ગ્રામજનો માટે ખુલ્લા મૂક્યા હતાં. ગ્રામજનોને સંબોધતા સાંસદ ગીતાબેને જણાવ્યું કે આપણા સહુ ગ્રામજનોના આશીર્વાદથી હું આપણા સંસદીય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહી છું ત્યારે આપણા વિસ્તારના પીવાના પાણી, રસ્તા, ખેડૂતોના મહામુલા પાકને નુકશાન પહોંચાડતા ડુક્કરોનો પ્રશ્ન, સિંચાઈ માટે પાણીના સ્તર નદીઓમાં ખુબ ઊંડા ગયા છે તેના માટે નદીઓ પર આડબંધ બાંધવાની રજૂઆતો ભારત સરકારને કરી છે, વધુમાં તેમને જણાવ્યું કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ મળે તે માટે કેન્દ્રીય વિદ્યાલય અને વધુ સારો ઉપચાર થઇ શકે તેવી મોટી હોસ્પિટલની સ્થાપના થાય તેવી માંગણી ભારત સરકારના મંત્રીઓને કરી છે. આ વિસ્તારના વિકાસ માટે અનેક પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરી આ વિસ્તારનો દરેક સમાજનો વર્ગ દરેક ક્ષેત્રમાં હરણફાળ આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી. સાંસદે ગ્રામજનોને કોઈ મુશ્કેલી હોય તો મને મળી શકે છે તેમ જણાવ્યું હતું. સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું વિકાસ કાર્યોથી ગ્રામજનો ખુશ થયા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)