રાજ્ય સરકારના “વૃક્ષ વાવો અભિયાન” અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરમાં ચાલુ ચોમાસા દરમિયાન નગરમાં ૫૧૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષોને વાવી અને તેનું જતન કરવાની જવાબદારી હિંમતનગર બગીચા ખાતાના કર્મચારીઓએ ઉપાડી છે. ખુબ જ મહેનત અને ખંતથી આ કર્મચારીઓ છોડવાઓનું ધ્યાન રાખે છે. વૃક્ષો વાવવા આસાન કામ છે પરંતુ તેનું જતન કરવું એટલું જ અધરૂ છે, જેમ બાળકને સમયસર ખોરાક પાણી આપવા પડે છે તેમ છોડવાઓને પણ ખોરાક પાણીની જરૂર પડે છે માટે બગીચા વિભાગના કર્મચારીઓની કામગીરી વિશિષ્ટ અને સરાહનીય બની જાય છે.
નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ જણાવે છે કે હિંમતનગરને લીલુંછમ બનાવા માટે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. વૃક્ષને ઉછેરવાની સાથે માવજત લઈ શહેરને હરિયાળુ બનાવાની કવાયત હાથ ધરી છે.
હિંમતનગર નગરપાલિકાના બગીચા ખાતાના વડા એચ.આઇ.ખણૂસીયા જ્ણાવે છે કે આ વર્ષે તેમણે અને તેમની ટીમ જેમાં કુલ ૩૦ કર્મચારી છે તેઓએ મળીને હિંમતનગરના બગીચાઓ, સરકારી કચેરીઓ, શાળા કોલેજોમાં તેમજ સોસાયટી વિસ્તારોમાં અને ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોને દર અઠવાડિયે આ કર્મચારી મુલાકાત લે અને તેની દેખરેખ રાખે છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ બગીચો હોય કે નગરની વચ્ચે આવેલ બગીચો હોય તેના વૃક્ષોનું જતન કરવાનું કામ આ કર્મચારીઓ દ્વારા થાય છે.
હિંમતનગરની જનતાનું આરોગ્ય અને શહેરનું વાતાવરણ શુદ્ધ અને સ્વચ્છ રહે તે માટે આ કર્મચારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓની આજુ-બાજુ પણ વૃક્ષો વાવી તેને પશુઓથી બચાવવા માટે ટ્રી ગાર્ડ લગાડવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને ઉનાળામાં આ વૃક્ષોની ખાસ કાળજી લઈ હિંમતનગરને હરિયાળુ અને સ્વચ્છ બનાવામાં આ કર્મચારીઓનો મુખ્ય ફાળો રહ્યો છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ