શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ કરાઈ હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગામમાં બેનર સાથે પ્લાસ્ટિક મુક્તિના સૂત્રો સાથે પ્રભાત ફેરી કરી હતી જેને ગ્રામજનો દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળામાં મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને….. નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ગાંધીજીના પ્રેરક પ્રસંગોને વાગોળી પોતાના જીવનમાં મહાત્માના આદર્શ મૂલ્યોને ઉતારવાનો સામુહિક સંકલ્પ લીધો.
આ પ્રસંગે શાળાના આચાર્ય શાહિદ શેખ દ્વારા ઉપસ્થિત ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનમાંથી આપણે સૌએ બોધ લઈ તેઓના આદર્શ મૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો સકારાત્મક પ્રયાસ કરવા માટેની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે પ્લાસ્ટીક માનવજીવન માટે કેટલું ખતરનાક છે તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે આજે પ્રકૃતિ માટે અભિશાપરૂપ પ્લાસ્ટિકની વિમાસણમાં જગત ખોવાયું છે. એક જમાનામાં સોના-ચાંદીના વાસણોમાં ભોજન લેતો માનવ ક્રમશઃ તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ, સ્ટીલ તરફ વળ્યો. વિજ્ઞાનની અવનવી શોધો વચ્ચે આજે આપણે આધુનિક બની ઝડપથી સાફ થઈ જાય તેવા સ્ટીલ,કાચ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરતા થયાં છે. માનવ જીવન ધીમે ધીમે પ્રકૃતિથી દૂર થતું ગયું તેમ તેમ માનવની સર્જન શકિત પથ્થર જેવી જડ થઈ જેના પરિણામે સિંગલ યુઝડ પ્લાસ્ટિકની ઉત્પત્તિ થવા પામી. ઉત્પાદકોએ પણ જીવન નિર્વાહની આડમાં માનવ મૂલ્યો નેવે મૂકી માનવ જીવન માટે જોખમી સિંગલ યુઝડ પ્લાસ્ટિકનું ઉત્પાદન વધારતા આપણાં સૌના આરોગ્ય સામે મોટું જોખમ તોળાઈ રહયું છે.
આ પ્રસંગે હાજર રહેલ પ્રત્યેક વ્યક્તિ પાસે સમાજની દરેક વ્યક્તિને પ્લાસ્ટિકના ઉપયોગથી ઉભા થયેલ જોખમોની જાણકારી આપવાનું સંકલ્પ લેવડાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સચિન પંચાલે કર્યું હતું. કાર્યક્રમના અંતે અર્જુન રાઠવાએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)