ભારતીય ટીમનાં પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. વિરાટની પ્રશંસા કરતા દ્રવિડે કહ્યું કે, “તે જેવી કમાલ કરી રહ્યો છે અમારા સમયમાં ત્યાં સુધી પહોંચવું અશક્ય હતુ. તે સમય સાથે વધારે સારો થતો જઈ રહ્યો છે. પોતાની રમત દ્વારા તે એવો માપદંડ સેટ કરી રહ્યો છે જ્યાં પહોંચવું અમારા સમયમાં અશક્ય હતુ. વન ડેમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરની ૪૯ સદીઓથી થોડોક જ દૂર છે. તે જે રીતે રમી રહ્યો છે તો લાગે છે કે તે આગળ નીકળી જશે અને આ માટે વિરાટની પ્રશંસા થવી જોઇએ.
રાહુલ દ્રવિડે કહ્યું કે, “એક બેટ્સમેન તરીકે વિરાટમાં સતત સુધારો કરવાની ભૂખ છે અને તેણે આ ગુણને પોતાની કેપ્ટનશિપમાં પણ લાવવો જોઇએ. વિરાટની ખાસિયત રહી છે કે તે જે દેશમાં પહેલા અસફળ રહ્યો હોય ત્યાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે વિરાટ પહેલીવાર ઑસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ. વર્ષ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં વિરાટની બેટિંગ ખાસ રહી નહોતી, પરંતુ ત્યારબાદ જ્યારે તે બંને દેશનાં પ્રવાસે ગયો તો કમાલની બેટિંગ કરી. તે સતત સારું કરવાનો પ્રયત્ન કરે છે અને તેણે પોતાની કેપ્ટનશિપમાં પણ આવુ કરવાની જરૂર છે.”
વિરાટની બેટિંગને લઇને રાહુલ દ્રવિડે કહ્યું કે, “૬ મહિના પહેલા તે સ્વીપ શૉટ નહોતો રમતો, પરંતુ હવે તે તેવું કરવા લાગ્યો છે. જ્યારે વિરાટને મે પહેલીવાર જોયો ત્યારે તે શૉર્ટ બૉલને સારી રીતે નહોતો રમી શકતો, પરંતુ હવે તેવું નથી. તે સતત પોતાની રમતમાં સુધારો કરી રહ્યો છે. વિરાટ હંમેશા પોતાની કમજોરીઓ પર કામ કરે છે અને આ વાત તેને દુનિયાનો બેસ્ટ બેટ્સમેન બનાવે છે.