માલેગાંવ બ્લાસ્ટ કેસ મામલે મુંબઈની એનઆઈએ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ આરોપીઓને કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પુરોહિક અને અન્ય શખ્સ સંડોવાયેલા છે. તમામ આરોપી કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને તમામને કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા.જેલમાંથી મુક્ત થયા બાદ સાધ્વી પ્રજ્ઞા ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે સાધ્વીને ટિકિટ આપતા વિવાદ પણ થયો હતો. મહત્વપૂર્ણ છે કે, ૨૯મી ડિસેમ્બર, ૨૦૦૮માં માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતાચ જેમા છ લોકોના મોત અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા. માલેગાંવ બ્લાસ્ટ કેસની શરૂઆતી તપાસ મહારાષ્ટ્ર એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી.જે બાદ આ તપાસને સીબીઆઈને સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ કેસમાં જે મોટર સાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો તે મોટર સાયકલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નામે હતી. જેથી આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત અન્ય સાતને આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.મહત્વનું છે કે ભાજપના ભોપાલ બેઠક પર લોકસભાના ઉમેદવાર અને બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છુટેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે વિવાદ જગાવ્યો હતો. તેમણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને ભારે વિવાદ જગાવ્યો છે. અગાઉ મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે પણ અપમાનજનક નિવેદન કરનારા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે નાથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને ફરી વિવાદમાં આવ્યા છે.જોકે જ્યારે સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ ભારે હોબાળો થતા તેણે માફી માગવી પડી હતી સાથે પોતાનું નિવેદન પરત લઉ છું તેમ કહ્યું હતું. જોકે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી ભાજપે પોતાને દુર કરી લીધી હતી. વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે નાથુરામ ગોડ્સે એક દેશભક્ત હતા.તેઓ હતા અને હંમેશા દેશભક્ત જ રહેશે. જે લોકો નાથુરામ ગોડ્સેને આતંકવાદી કહેતા હોય તેઓ પોતાની તરફ જુવે, તેમને આ લોકસભાની ચૂંટણીમાં આક્રામક જવાબ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને નાથુરામ ગોડ્સેને આતંકવાદી ગણાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ નિવેદન કર્યુ હતું. જોકે જ્યારે આ મામલે ભાજપના નેતા રાકેશસિંહ બાજપાઇને પૂછવામાં આવ્યું કે શું સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન બદલ માફી માગી છે, તો તેમણે જણાવ્યું હતું કે તેમણે માફી માગીને પોતાનું નિવેદન પરત લઇ લીધુ છે, બીજી તરફ ભાજપે પોતાને સાધ્વીના આ નિવેદનથી દુર કરી લીધી છે.ભાજપના મીડિયા સેલના પ્રભારી લોકેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી હોય તે દેશભક્ત ક્યારેય ન બની શકે. પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનની ટીકા કરતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે આ અતી નિમ્નકક્ષાનું નિવેદન છે. આ પહેલા શહીદ હેમંત કરકરેને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.
આગળની પોસ્ટ