અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મામલે એએમસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હવે પોલીસે પણ કડક હાથે કાર્યવાહી શરૂ કરતા રસ્તા પર છુટા મુકતા ઢોર માલિક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી છે. શાહીબાગના બળીયાલીંમડી વિસ્તારમાં રસ્તા પર ૫ ગાયો છુટી મુકનાર ઢોર માલિક વિરુદ્ધ આઇપીસી ૩૦૮ અને પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
રસ્તે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ એએમસી તંત્રએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ થોડા સમય બાદ ઢીલી કામગીરી કરી દેવામાં આવી હતી. અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતોના બનાવ બન્યા હતા. વિનોબાભાવે નગરમાં રહેતા એક વૃદ્ધને ગાયે અડફેટમાં લેતા તેમનું મોત નિપજ્યું હતું. આવી ઘટનાઓ વધતા કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ છે. અસારવાના બળીયાલીંમડી જુની પટેલની ચાલી પાસેથી કોર્પોરેશને ૫ જેટલી ગાયોને રસ્તા પરથી પકડી હતી. જે મામલે શાહીબાગ પોલીસે ગાય માલિક રણછોડ રબારી સામે ગુનો નોંધ્યો છે.