જામનગર તાલુકાના લાવડીયા ગામે સિમ વિસ્તારમાં એક યુવાનને મોટર સાઈકલને આંતરી લઈ અજાણ્યા શખ્સોએ યુવાનની કરપીણ હત્યા નિપજાવી નાશી છૂટ્યા છે. વાડીએથી ઘરે આવી રહેલા યુવાનને કોણે રહેંસી નાખ્યો છે? આ બાબત હજુ સ્પષ્ટ થઈ નથી. હાલ પોલીસે અજાણ્યા શખ્સોની સામે હત્યા સંબંધિત ફરિયાદ દાખલ કરી બનાવની કડીઓ મેળવવા તજવીજ શરૂ કરી છે.
જામનગર નજીકના લાવડીયા ગામે રહેતા મનીષ ઉર્ફ ધર્મેશ વસંતભાઈ ઉર્ફ ભુપતભાઇ નામનો ૩૦ વર્ષીય યુવાન ગઈ કાલે રાત્રે પોતાની વાડીએથી મોટર સાયકલ લઈ ઘર તરફ રવાના થયો હતો. ઘાસ ચારા સાથે ગામ તરફ આવતા આ યુવાનના બાઇકને ગંગા વવાના રસ્તે કોઈ અજાણ્યા શખ્સોએ આંતરી લીધું હતું અને બોથડ પદાર્થો વડે હુમલો કરી આડેધડ માર માર્યો હતો. યુવાન કાંઈ સમજે તે પૂર્વે જ આરોપીઓએ હુમલો કરી, મોઢાને છૂંદી નાખી, માથાના ભાગે તેમજ વાસા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. હત્યાને અંજામ આપી અજાણ્યા આરોપીઓ નાશી ગયા હતા. દરમિયાન મોડી રાત્રે જાણ થતાં પંચ કોશી પોલીસ દફ્તરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અજાણ્યા હત્યારાઓની ભાળ મેળવવા પોલીસે જામનગર પંથક સહિત જિલ્લાભરમાં નાકાબંધી ગોઠવી દીધી હતી અને નાઈટ કોમ્બિન્ગ પણ હાથ ધર્યું હતું. બીજી બાજુ મૃતકને જામનગર જીજી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડવામાં આવી હતી.
પાછલી પોસ્ટ