પુલવામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં આરડીએકસનો ઉપયોગ કરાયો નથી, પરંતુ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને એક ઘાતક હથિયાર બનાવાયું હતું. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરનારા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેમાં ખીલીઓ, લોખંડના ટૂકડા ભરીને વધુ વિનાશક બનાવાયું હતું. વિસ્ફોટ બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓને સામાન્ય દુકાનો પરથી ધીમે-ધીમે ખરીદીને એકઠી કરવામાં આવી હતી. હુમલાખોરની લાશ પર થયેલીઅસર અને ઘટનાસ્થળે મળેલા પદાર્થોના પ્રારંભિક નિરીક્ષણ બાદ આ નિષ્કર્ષ બહાર આવ્યો છે. જોકે, હજુ વધુ તપાસ ચાલુ છે, પરંતુ આ હુમલામાં આરડીએકસનો ઉપયોગ કરાયો હોય એવું હાલ ક્યાંય જણાતું નથી. ટોચના એક સુરક્ષા અધિકારીએ આ માહિતી આપી છે. આ હુમલામાં કેવા પ્રકારના કેમિકલનો હુમલો થયો છે અને કઈ વ્યક્તિને આરોપી બનાવવો એ શક્ય નથી, કેમ કે તેમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓનો ખેતીથી માંડીને અનેક પ્રકારના ઉદ્યોગોમાં વપરાશ થાય છે. આરડીએકસજેવા વિસ્ફોટકોને કોઈ પણ ટોલનાકા પર થતી તપાસમાં પકડાઈ જવાની સંભાવના હોય છે. આથી આતંકવાદીઓએ આ હુમલા માટે સામાન્ય ઉપયોગમાં લેવાતા કેમિકલ્સની મદદ લીધી છે. આ કેમિકલ્સ પંજાબ કે હરિયાણામાં ડીલર્સ પાસેથી સરળતાથી ખરીદી શકાય છે. કાશ્મીરમાં પણ તેના અનેક ડીલર્સ છે. એક અધિકારીઓ જણાવ્યું કે, વિસ્ફોટને અત્યંત શક્તીશાળી અને વધુને વધુ વિનાશક બનાવવા માટે વિસ્ફોટકનું પ્રમાણ હદ કરતાં વધુ રાખવામાં આવ્યું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે હુમલાના સ્થળથી અનેક કિમી દૂર તેની અસર અનુભવાઈ હતી. છેલ્લા અનેક દિવસથી જન્મુ-કાશ્મીર હાઈવે પર ગાડીઓનું પરિવહન બંધ હતું. આથી સેના અને સીઆરપીએફના જવાનોની મોટી સંખ્યા કાશ્મીર તરફ જવાનો રસ્તો ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. ગુરૂવારે જેવો રસ્તો ખુલ્લો થયો તેવો જ સીઆરપીએફની ગાડીઓનો કાફલો જમ્મુથી રવાના થયો હતો. કાફલાની સાથે-સાથે ખાનગી વાહનોનું પરિવહન પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન જ હુમલાખોરે પોતાની ગાડી ઘુસેડી દઈને હુમલો કર્યો હતો. હુમલા માટે પ્રારંભની ૩-૪ ગાડીઓ પછીની ગાડીઓને પસંદ કરવામાં આવી હતી, જેથી કાફલાની આગળ ચાલતી ક્વિક રિએક્શન ટીમની જવાનોની ઓછી સંખ્યા ધરાવતી ગાડીઓને બદલે વધુ સંખ્યામાં જવાનો બેઠા હોય તેવી ગાડીઓને નિશાન બનાવી શકાય.