વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં આરોગ્યવિષયક મુદ્દાઓને લઇને પણ શાસકપક્ષ દ્વારા ખાસ જોગવાઇ કરવામાં આવી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને લોકોને સારી અને અસરકારક તબીબી સેવા ઉપલબ્ધ બનાવવાના આશયથી રૂ.૭ કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં ૧૦૦ બેડની રેફરલ હોસ્પિટલ તૈયાર કરવાનું આયોજન બજેટમાં કરાયું છે. આ સાથે સરખેજ અને વાડજ ખાતે અદ્યતન તબીબી સુવિધા સાથેનું કોમ્યુનીટી હેલ્થ સેન્ટર(સીએચસી) ઉભુ કરવા માટે બજેટમાં રૂ.બે કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો, શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર ખાતે આવેલી અને ૧૯૬૩થી શરૂ થયેલી ૬૨૦ પથારીઓ ધરાવતી શારદાબહેન હોસ્પિટલના નવીનીકરણ માટે રૂ.દસ કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે. આ હોસ્પિટલમાં પ્રતિદિન ૨૧૦૦ દર્દીઓ ઓપીડી સારવાર લે છે., તથા ૩૦૦ જેટલા દર્દીઓ ઇનડોર દર્દી તરીકે સારવાર લે છે. વર્ષ દરમ્યાન દોઢ લાખ એક્સ રે, ૫૦ હજાર સોનોગ્રાફી, ૫૫૦૦ ડિલીવરી અને ૧૬ હજાર જેટલા માઇનોર અને મેજર ઓપરેશન્સ થાય છે ત્યારે હવે શા.ચી.લા હોસ્પિટલની વર્ષો જૂની ઇમારત અને જર્જરિત બની હોઇ તે નવીનીકરણ માંગી લે છે અને તેથી જ તેના નવીનીકરણ માટે રૂ. દસ કરોડની ફાળવણી કરાઇ છે. આ જ પ્રકારે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરાસિક સર્જરી, ન્યુરો સર્જરી, ન્યુરો મેડિસીન તેમ જ અન્ય સુપરસ્પેશ્યાલિટી સર્વિસીસ ઉપલબ્ધ બનાવવાના આશયથી રૂ. બે કરોડની પ્રારંભિક જોગવાઇ કરાઇ છે. સાથે સાથે એલ.જી.હોસ્પિટલમાં રૂ.એક કરોડના ખર્ચે અદ્યતન આઇવીએફ(ટેસ્ટ ટયુબ બેબી) સેન્ટર ઉભુ કરવાનુ ખાસ આયોજન બજેટમાં કરાયું છે. ખાસ કરીને પ્રતિદિન વધતા જતાં વંધ્યત્વના પ્રમાણને ધ્યાનમાં લઇ તથા અન્ય સારવારના પ્રયત્નો છતાં બાળક કે ગર્ભ નહી રહેવાથી હિંમત હારી ગયેલા દંપતિઓમાં આઇવીએફ સેન્ટર આશીર્વાદરૂપ નીવડી શકે છે.
અમદાવાદમાં તમામ ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા જેટલો થતો હોય છે, જેને ગરીબ અને મધ્યમવર્ગના લોકો વેઠી નથી શકતા અને તેથી જ શહેરની કોઇપણ હોસ્પિટલમાં આઇવીએફ સેન્ટરની સુવિધા હાલ ઉપલબ્ધ ના હોઇ આ વખતના બજેટમાં એલ.જી.હોસ્પિટલમાં રૂ.એક કરોડના ખર્ચે અદ્યનત આઇવીએફ સેન્ટર ઉભુ કરવાની જોગવાઇ કરાઇ છે.
પાછલી પોસ્ટ