શહેરના શાસ્ત્રીનગર વિસ્તારના સરદાર આવાસના તેરમા માળેથી એક પરિણિતા મહિલાએ નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, પરિણિતાના મોતને લઇ સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, મહિલાની આત્મહત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, જેના આધારે પણ પોલીસે તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર આવાસ યોજનાના મકાનોના ૧૩ માળેથી સુમિતાબહેન ડિમ્પલભાઇ ડુમાણિયા(ઉ.વ.૩૮) નામની પરિણિતાએ અગમ્ય કારણોસર અચાનક નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. પરિણિતા ૧૩ માળેથી નીચે પટકાતાંની સાથે જ લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડી હતી અને કરૂણ મોતને ભેટી હતી. બનાવને પગલે સ્થાનિક રહીશો અને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા, જયાં મહિલાનું લોહીલુહાણ હાલતમાં પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ, બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી અને ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને મહિલાએ કયાં કારણોસર અને કયા સંજોગોમાં આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું તેની સત્યતા બહાર લાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિણિતાની આત્મહત્યા અંગેની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી. જેમાં સામે આવ્યું હતું કે, પરિણીતાએ આપઘાત કર્યો એ પહેલા સીડીઓ પર આંટાફેરા કર્યા હતા. ત્યારબાદ તેણીએ ૧૩મા માળેથી ઝંપલાવ્યું હતું. તે જમીન પર પટકાઈ તેની જાણ પાસેથી જ પસાર થનારને પણ થઈ ન હતી. પાર્ક કરેલા વાહનો પાસે તે પટકાઈ હતી અને તે સ્પ્રિંગની માફક ઉછળી પણ હતી. જો કે, મહિલાનું આટલી ઉંચાઇએથી પટકાવાના કારણે ગંભીર ઇજાઓ થવાની કરૂણ મોત નીપજયું હતુ. પરિણિતાના મોતને લઇ અનેક અટકળો અને તર્ક-વિતર્કો પણ વહેતા થયા હતા. જો કે, પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવાના અને સત્ય બહાર લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અન્ય જગ્યાએ રહેતી હોવાનું અને આત્મહત્યા કરવા માટે જ આ બહુમાળી એપાર્ટમેન્ટમાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પણ પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
પાછલી પોસ્ટ