મહિલા સશકિતકરણ ઊજવણી અવસરે નવસારી જિલ્લામાં મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ વાનગી હરિફાઇ અને કિશોરીને શણગારવામાં આવી હતી. નવસારી ર્ડા.આંબેડકર ભવન કાલિયાવાડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઇસીડીએસ વિભાગ દ્વારા રસોઇ શો તેમજ બાળકોની વેશભુષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને ટીબીના દર્દીઓને પોષણકીટ આપવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ આ અવસરે જણાવવાનું કે, ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવા માટે તેમની કાળજી લેવી આવશ્યક છે. માતાઓને જાગૃત કરવાની જવાબદારી આઇસીડીએસ અને આરોગ્ય વિભાગની છે. જે સારી રીતે નિભાવી રહયા છે. સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર, કિશોરીઓને માર્ગદર્શન મળવું જોઇએ. જેથી તેઓનું આરોગ્ય જળવાઇ રહે.
સ્નેહ સેતુ ટ્રસ્ટના ચેરપર્સન ચેતનાબેન બિરલાએ મહિલા બાળ પોષણ અને બાળકોના આરોગ્ય વિશે જાણકારી આપી હતી. માનવસેવા મંડળના પ્રમુખ ઠાકોરભાઇ નાયકે પણ આ અવસરે પોતાના વિચારો રજૂ કર્યા હતા. નવસારી તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.ધવલ મહેતાએ પણ જરુરી માર્ગદર્શન આપ્યું હતું.
સંકલિત બાળ વિકાસ અધિકારી વિનુબેને સૌને આવકાર્યા હતા. તાલુકા વિકાસ અધિકારી જલાલપોર, આદર્શ મહિલા મંડળ નવસારીના પ્રમુખ, દહેજ પ્રતિબંધક અધિકારી, સીડીપીઓ જલાલપોર ઘટક-૧,૨, સુપરવાઇઝર, અન્ય આઇસીડીએસ સ્ટાફ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.