કેવડિયા સ્થિત નર્મદા ડેમમાં આવેલા તળાવ નંબર-૩ને અડી આવેલી ટેન્ટ સિટીની સલામતી અને સુરક્ષા માટે તથા બોટિંગની સુવિધા શરૂ કરવા તળાવ નંબર-૩માંથી મગરોને ૩૦૦ જેટલા મગરનું સ્થળાંતર કરાઇ રહ્યું છે. નર્મદા ડેમના તળાવ નંબર-૩માં ખૂંખાર મગરોની હાજરીના કારણે સી-પ્લેનનો પ્રોજેકટ પડતો મુકવામાં આવે તેવી સંભાવના છે. તળાવ નંબર-૩ના બદલે અન્ય સ્થળે વિમાન ઉતરી શકે કે નહીં તે વિકલ્પ પર પણ વિચારણા કરાઇ રહી છે.
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે ટાઇગર સફારી, સી- પ્લેન, રેલવે લાઇન, પ્રાણી સંગ્રહાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. નર્મદા ડેમના તળાવ નંબર-૩માં સી- પ્લેનની સુવિધા શરૂ કરવા સરકારે મંજૂરી આપી દીધી છે. પરંતુ તળાવમાં ૩૦૦થી વધારે ખુંખાર મગરોની હાજરીના કારણે સી- પ્લેન ઉતારવાનો નિર્ણય જોખમ ભર્યો સાબીત થઇ શકે છે. સી પ્લેન માટે મોટી અને સુરક્ષિત જગ્યા જોઈએ, ત્યારે નર્મદા ડેમના સરદાર સરોવર અને તળાવ નંબર ૩ મોટી જગ્યા છે, પરંતુ સુરક્ષિત નથી જેથી હાલ સરકાર આ બાબતે મૂંઝવણમાં છે.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટના ચીફ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય અધિકારી આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં હાલ કોઇ સ્થળ સી પ્લેન માટે નક્કી કરાયું નથી. તળાવ નંબર-૩ માં પણ સી પ્લેન ઉતરશે નહીં. જો મગરોની સંખ્યા ઘટશે તો કોઈ વિચાર કરશે અથવા અહીં બોટિંગ સુવિધા ઉભી કરવામાં આવશે તેવું આયોજન છે.
તળાવ નંબર ૩ માં બોટિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવનાર છે. તળાવમાં મગરો હોવાથી બોટિંગ ચાલતા મગરો હેરાન થાય અને હુમલો કરી શકે છે. આ ઉપરાંત તળાવની બાજુમાં ટેન્ટ સિટી ૧ અને ૨ આવેલી છે. તળાવમાંથી બહાર નીકળી મગરો ટેન્ટ સિટીમાં પણ પ્રવેશી શકે છે. ટેન્ટ સિટીના માલિકે રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરતા રાજ્ય સરકારમાંથી સૂચના મળતા વન વિભાગ દ્વારા ૯થી વધુ પાંજરા ગોઠવાયા છે અને જેમાં અત્યાર સુધી ૧૫ જેટલા મગરો ઝડપી લેવાયા છે.
આગળની પોસ્ટ