પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક અર્ધસૈનિક પ્રશિક્ષણ શિબિર પર આતંકવાદી હુમલામાં ચાર સૈનિકોના મોત થયા અને ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાએ જણાવ્યું કે, ચાર આતંકવાદીઓએ પ્રાંતના લોરલઇ ક્ષેત્રમાં ફ્રન્ટિયર કોરના પ્રશિક્ષણ કેન્દ્રમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. તેઓએ જણાવ્યું કે, લક્ષ્યને નિશાન નહીં બનાવી શકવાના કારણે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યુ અને ચેક પોસ્ટની નજીકના પરિસરમાં ઘૂસી ગયા. સેનાએ જણાવ્યું કે, અભિયાન દરમિયાન એક આત્મઘાતી હુમલાખોર સહિત ચાર આતંકવાદીઓના મોત થયા હતા. આ હુમલામાં ચાર સુરક્ષાકર્મીઓના પણ મોત થયા છે અને બે અન્ય ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી કોઇ પણ સંગઠને લીધી નથી.
પાકિસ્તાનમાં આ પ્રકારનો હુમલો પ્રથમ વખત નથી. ગત વર્ષે જુલાઇમાં પાકિસ્તાનની બે ચૂંટણી રેલીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઉચ્ચ રાષ્ટ્રવાદી નેતા સહિત ઓછામાં ઓછા ૭૫ લોકોનાં મોત થયા હતા અને ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પાછલી પોસ્ટ