અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી કોઇપણ રીતે બારી તોડીને અને દરવાજો ખોલીને સાત બાળકો ભાગી ગયા હોવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. બાળ સંરક્ષણ ગૃહના સત્તાધીશોથી લઇ પોલીસ તંત્રના અધિકારીઓ આ ઘટનાને લઇ દોડતા થઇ ગયા છે. સોલા પોલીસે ભાગી છૂટેલા બાળકોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. છેલ્લા દસ દિવસમાં ૧૦ થી ૧૪ વર્ષની ઉંમરના સાત બાળકો એક પછી એક ભાગી જતા સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસ પહેલા આ બાળકો ભાગી ગયા હતા, જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ હવે તમામ બાળકોને શોધવા માટે દોડતી થઇ છે. જો કે, બનાવને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. મોડી સાંજે પોલીસે બે બાળકોને શોધી કાઢયા હતા. જયારે હજુ પાંચ બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સોલા ભાગવત વિસ્તારમાં આવેલા નિરામય આયુર્વેદિક બિલ્ડીંગ ખાતે આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી એક પછી એક ૭ બાળકો ભાગી જતા સમગ્ર તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલે બાળ સંરક્ષણ ગૃહના સુપ્રિટેન્ડન્ટ રામપ્રવેશ રામસેવક તિવારીએ સોલા પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, ગત તા.૧૪-૧૦-૨૦૧૮ના રોજ તેઓ ફરજ પર ચીલ્ડ્રન હોમમાં હાજર હતા ત્યારે સવારે પાંચ વાગ્યે દરવાજાની સ્ટોપર અંદરથી ખુલેલી જણાઇ હતી અને તથી હોમગાર્ડ જવાનને પૃચ્છા કરી હતી અને બાદમાં ચીલ્ડ્રન હોમના બાળકોની ગણતરી કરી હતી. જેમાં વટવા પોલીસ સ્ટેશન મારફતે ચાઇલ્ડ લાઇન મારફતે આ ગૃહમાં આવેલ મોહમંદ અખતર અન્સારી(ઉ.વ.૧૨)(રહે. ગામ ડમડીયા, ઝારખંડ), ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક મારફતે રેલ્વે પોલીસ, કાલુપુર રેલ્વે સ્ટેશન દ્વારા લવાયેલ પ્રદીપ હેમલાલ (ઉ.વ.૧૪) (હે.ગામ દરમાહી, બિહાર) અને અબે મેઘા (આદિવાસી) (ઉ.વ.૧૦) (રહે.ગામ સબાય, રાજસ્થાન) કોઇને જાણ કર્યા વગર ચાઇલ્ડ હોમનો દરવાજો ખોલી ગમે તે રીતે ભાગી ગયા છે. આ જ પ્રકારે તા.૨૪-૧૦-૨૦૧૮ના રોજ અગાઉ જે તે વખતે ચીલ્ડ્રન હોમમાં લવાયેલા પ્રદીપ મંદારમજી માજીરાણા (ઉ.વ.૧૪) (રહે.ગામ ભાખરીયાના છાપરા, બનાસકાંઠા), વિષ્ણુ બાબુલાલ નાઇક (ઉ.વ.૧૨), દશરથ મોહનભાઇ ઠાકોર (ઉ.વ.૧૨) (રહે.અંબાજી પાટીદાર ભવન, બનાસકાંઠા) અને પરેશ ભરતભાઇ મકવાણા (ઉ.વ.૧૨) (રહે.શિવશકિતનગર, મેમ્કો, અમદાવાદ) પણ ચીલ્ડ્રન હોમમાંથી યેનકેન પ્રકારે નાસી છૂટયા હતા. અમે અને અમારા સ્ટાફે શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ તેઓની તપાસ કરી પરંતુ મળી આવ્યા નથી તેથી પોલીસને આ બાળકોની તપાસ માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને ફરિયાદ મળતાં સંરક્ષણ ગૃહમાં પહોંચી હતી તેમજ બાળકો સાથે રહેતા તેમના મિત્રો અને કેયર ટેકરની પુછપરછ કરી હતી. હાલ પોલીસે આ બનાવ સંદર્ભે રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ, સહિત વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી છે અને બાળકોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, બાળકોને કેમ અહીંથી ભાગી જવાની ફરજ પડી તે વાતને લઇ હવે તંત્ર સામે ખાસ કરીને સ્થાનિક બાળ સંરક્ષણ ગૃહના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાળ સંરક્ષણ ગૃહમાંથી અગાઉ પણ બાળકો ભાગી ગયા હોય તેવા બનાવ અમદાવાદમાં બન્યા છે ત્યારે એક પછી એક સાત બાળકો ભાગી જવાની આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક બાળકોને શોધવા માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે.