ઉત્તરપ્રદેશમાં બહરાઇચ જિલ્લામાં બુધવાર મોડી રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જિલ્લા હોસ્પિટલ, મહિલા હોસ્પિટલ, પેથોલોજી, ઇમરજન્સી સહિત સમગ્ર હોસ્પિટલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ છે. નગરપાલિકાની લાપરવાહીના લીધે જળબંબાકારની સ્થિતિ છે. ઓવરફ્લોની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના ૭૨ જિલ્લામાં એક જુલાઈથી લઇને પહેલી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં ભારે વરસાદ થયો છે. આ ગાળા દરમિયાન ૧૫૪ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૧૩૧ લોકો ઘાયલ થયા છે. ૧૮૭ પશુઓના પણ મોત થયા છે. ૧૨૫૯ ઘરને નુકસાન થયું છે. બહરાઈચની સાથે સાથે પૂર્વીય ઉત્તરપ્રદેશ અને અવધ પટ્ટામાં પણ ભારે વરસાદ થયો છે જેના પરિણામ સ્વરુપે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઘાઘરા નદીમાં પાણીની સપાટી અવિરતપણે વધી રહી છે જેના પરિણામ સ્વરુપે નદીના કિનારે ગાબડા પડી ગયા છે. ગાબડાની સ્થિતને રોકવા માટે તંત્ર દ્વારા યુદ્ધસ્તરે પગલા લેવામાં આવી રહ્યા છે.
વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરીને બંધ સાથે જોડાયેલા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત ખસેડી લેવાના આદેશ જારી કર્યા છે. ગ્રામીણ વિસ્તારોને સુરક્ષિત સ્થળે લઇ જવા માટે ઝડપી કામગીરી થઇ રહી છે. સાથે સાથે બંધની નજીક ન જવા માટે પણ કહેવામાં આવ્યું છે. ફૈઝાબાદ જિલ્લામાં બંધના સકંજામાં આવવાથી ૧૭ ગામમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સોહવલ, રુદૌલી તાલુકા વિસ્તારમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સરયુ નદીમાં પાણીની સપાટી અતિઝડપથી વધી રહી છે.
બંધ ઉપર પાણી છોડવામાં આવ્યા બાદ અયોધ્યામાં પણ પાણીની સપાટી વધી શકે છે જેના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. ૩૪ વર્ષ પહેલા જિલ્લાના ઇશોલી ગામમાં ગોમતી નદી ઉપર પુલ ધરાશાયી થઇ જતાં ભારે નુકસાન થયું હતું. એન્જિનિયરોની ટીમ ફરી એકવાર પહોંચી ચુકી છે અને નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ અને આંધી તોફાનની સ્થિતિ સર્જાઈ છે જેના પરિણામ સ્વરુપે ભારે નુકસાન પણ થયું છે. ૭૨ જિલ્લાઓમાં જુલાઈથી ઓગસ્ટ સુધીના ગાળામાં ભારે વરસાદથી ૧૫૪ લોકોના મોત થઇ ચુક્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ