આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. હજુ સુધી રમાયેલી આઈપીએલની મેચો ખુબ જ રોમાંચક રહી છે. શરૂઆતથી જ તમામ મેચોમાં રોમાંચની સ્થિતિ જોવા મળી રહી છે. પોતાની પ્રથમ મેચ હૈદરાબાદ સામે નવ વિકેટે ગુમાવી દીધા બાદ રહાણેના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સની ટીમ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો આઈપીએલની શરૂઆત પહેલા જ પડ્યો હતો. કારણ કે, બોલ ટેમ્પરિંગના મામલામાં રાજસ્થાન ટીમનો કેપ્ટન અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ દોષિત જાહેર થતાં તેના ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેથી તે આઈપીએલમાંથી પણ આઉટ થયો છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સ પણ પોતાની પ્રથમ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે હારી ગયું હતું જેથી બંને ટીમો જીતના ઇરાદા સાથે ઉતરશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરાશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરે ગયા વર્ષના ચેમ્પિયન મુંબઈ ઉપર જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં દુનિયાના તમામ ખેલાડીઓ રમી રહ્યા હોવાથી ભારતના યુવા ઉભરતા ખેલાડીઓને શાનદાર દેખાવ કરીને આંતરરાષ્ટ્ર્યી સ્તર પર ઉભરી આવવાની તક છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમાનાર છે જેમાં ઇરફાન, યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.