મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં શનિવારે મોડી રાત્રે કારની ટક્કરથી એક ચાર માળની ઇમારત જે હોટલ તરીકે હતી તે ધરાશાયી થતાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થઇ ગયા છે અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા છે.
આ બનાવ સરવાતે બસ સ્ટેન્ડ નજીક બન્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બનાવ અંગે દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારના સભ્યોને બે-બે લાખ રૂપિયાની મદદ કરવાની તથા ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાક્ષીઓના કહેવા મુજબ મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. કારની ટક્કર વાગતા ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. આસપાસની દુકાનોને પણ નુકસાન થયું હતું. બનાવ બન્યો ત્યારે હોટલમાં કેટલા લોકો હતા તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ઇજાગ્રસ્તોને તરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ