અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરાનો તેના મિત્ર સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની અન્ય બે સગીરો દ્વારા અપાયેલી ધમકીને પગલે ડરી ગયેલી સગીરાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, બાવળા પોલીસે આત્મહત્યા પહેલા સગીરાએ લખેલી સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આ પ્રકરણમાં ત્રણ સગીર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતી વેપારીની ૧૬ વર્ષીય પુત્રી તેના સાથી મિત્રને મળવા બાવળા જીઇબી પાસે ગઇ ગઇ હતી, દરમ્યાન બે સગીર ત્યાં આવી ગયા હતા અને તકનો લાભ લઇ સગીરાનો તેના મિત્ર સાથેનો ફોટો પાડી દીધો હતો અને બાદમાં પાછળથી સગીરાને તેના મિત્ર સાથેનો આ ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની બંને સગીરો દ્વારા અવારનવાર ધમકીઓ અપાતી હતી, જેના કારણે આ બ્લેકમેઇલીંગથી કંટાળી ગયેલી સગીરાએ ગઇકાલે મોડી રાતે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં સગીરા પાસેથી મરતા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે તે કબ્જે લીધી હતી. સગીરાએ આત્મહત્યા પહેલા લખેલી આ સ્યુસાઇડ નોટમાં લખ્યુ હતું કે, મમ્મી, મને જીવવાનો કોઇ હક નથી, કારણ કે, મારાથી એક ભૂલ થઇ છે. જેના માટે હું માફીની હકદાર નથી. હું મારા મિત્રને મળવા ગઇ હતી ત્યારે બે જણાં ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા માંડયા હતા અને મારો ફોટો પાડી લીધો હતો. આ બંને જણાં મને બ્લેકમેઇલ કરતા હતા. તદુપરાંત સગીરાએ ઉપરોકત બંને સગીરોને ઉદ્દેશીને લખ્યું હતું કે, મારા ઘરના કોઇ સભ્યને ખબર નથી, તેથી મારા પરિવારને હાથ અડાડવાની હિમંત પણ કરતા નહી. બાવળા પોલીસે સગીરાની આ સ્યુસાઇડ નોટના આધારે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ સગીર વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં ગુનાઓના પ્રમાણમાં વધારો થયો છે.
આગળની પોસ્ટ