શ્રી અમદાવાદ દિશાવાળ (વૈષ્ણવ વણિક) સમાજ દ્વારા તા.૨૪મી ડિસેમ્બરના રોજ રવિવારે શહેરના એસ.જી.હાઇવે પર પંડિત દીનદયાળ ઓડિટોરીયમ ખાતે લગ્ન પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગ્નવાંચ્છુ યુવક-યુવતીઓનો પરિચય મેળો યોજાશે. આ વખતે ૭૪૦ યુવક-યુવતીઓનું રેકોર્ડ રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદના સમગ્ર દિશાવાળ(વૈષ્ણવ વણિક) પરિવારોને એક નેજા હેઠળ સંગઠિત કરી સંઘશકિત કેળવવા તથા સમાજની સર્વાંગી વિકાસ કરવાના શુભઆશયથી સને ૧૯૮૯માં શ્રી અમદાવાદ દિશાવાળ સમાજની સ્થાપના કરવામાં આવી હતી. જેના આદ્યસ્થાપક સ્વ.રસિકભાઇ રંગવાલા, જગદીશભાઇ શાહ, સ્વ. પ્રવીણચંદ્ર દેસાઇ, સ્વ.ચીમનલાલ શાહ, ગોવિંદલાલ શેઠના અથાગ પ્રયત્નો થકી સમાજના ૧૧ ઘટકોને નેજા હેઠળ એકત્ર કરવામાં આવ્યા. આજે લગભગ ૧૮૦૦થી વધુ સભ્યો ધરાવતા સમાજમાં તેજસ્વી તારલાઓને શૈક્ષણિક ઇનામ વિતરણ, જરૂરિયાતમંદોને અનાજ-રાહત, મેડિકલ રાહત, બ્લડ ડોનેશન કેમ્પ, આંખના મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવાઇ રહી છે. સમાજના પ્રમુખ દેવાંગભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, દરેક માતા-પિતા પોતાના દિકરા-દિકરીના વિવાહ અંગે સતત ચિંતિત હોય છે અને તેવા સમયે શ્રી અમદાવાદ દિશાવાળ સમાજ એક મદદરૂપ માધ્યમ બની તેઓને તેમના સંતાનોના લગ્ન કરાવવામાં સેતુની ભૂમિકા ભજવે છે. ગુજરાતભરના સમગ્ર વૈષ્ણવ વણિક પરિવારમાંથી યોગ્ય પાત્રની તેઓને પસંદગી મળી રહે તે હેતુથી જ આ લગ્ન પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.