ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાયેલી પ્રથમ ટ્વેન્ટી-૨૦ મેચમાં રોહિત શર્માએ વધુ એક સિદ્વિ હાંસલ કરી હતી. રોહિત શર્મા હવે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન બન્યો છે. રોહિત શર્માએ કૉલિન મુનરોની બોલિંગમાં બીજો છગ્ગો ફટકારતા તેણે ભારતના ઓલરાઉન્ડર બેટસમેન સુરેશ રૈનાને પાછળ મૂક્યો હતો. આ સાથે રોહિત શર્મા છગ્ગા ફટકારવાના મામલામાં નંબર-૧ પર પહોંચી ગયો છે. રોહિત શર્માના નામે હવે ૨૫૭ ટ્વેન્ટી-૨૦ મેચમાં ૨૬૮ છગ્ગા નોંધાયા છે. જ્યારે સુરેશ રૈના ૨૬૫ છગ્ગા સાથે બીજા નંબર પર છે. રૈનાએ આ રન ૨૫૯ મેચમાં બનાવ્યા હતા. આમ તો ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલના નામે ૭૭૨ છગ્ગા છે. ઉલ્લેખનીય છેકે, રૈનાએ આઇપીએલ ૨૦૧૭ દરમિયાન રોહિત શર્માને પાછળ મૂક્યો હતો, ત્યારે હવે રોહિત શર્મા નંબર-૧ બની ગયો છે. ભારત તરફથી ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ત્રીજા નંબર પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન યુવરાજ સિંહ છે. જેના નામે ૨૪૪ છગ્ગા છે. ચોથા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની ૨૨૭ છગ્ગા સાથે અને પાંચમા નંબર પર ૨૧૭ છગ્ગા સાથે વિરાટ કોહલી છે.
પાછલી પોસ્ટ