વધતા જતા રેલવે અકસ્માતો બાદ રેલવેની સુરક્ષાને લઇને ચિંતા વચ્ચે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આજે કહ્યું હતું કે, રેલવે મંત્રાલયને સુરક્ષા પગલાઓ માટે એક સર્વગ્રાહી એક્શન પ્લાન તૈયાર કરવાની તાકિદની જરૂરિયાત દેખાઈ રહી છે. આ અધિકારીએ સૂચન કર્યું છે કે, રેલવે ટ્રેકની સતત ચકસાણી, ગેંગમેનની ભરતી, રેલવેના નિયમિત સેફ્ટી ઓડિટ જેવી વ્યવસ્થા માટે ખાસવ્યવસ્થા કરવા માટેની જરૂર છે. આ અધિકારીએ એમ પણ કહ્યું છે કે, ટેકનોલોજી એકમાત્ર ઉકેલ નથી. ટેકનોલોજીની સાથે સાથે માનવીય નિરીક્ષણ પણ મહત્વપૂર્ણ બાબત છે. અધિકારીએ કહ્યું છે કે, ચોક્કસ વ્યસ્ત રુટ ઉપર અમે ઘણી બધી ટ્રેનના દોડાવી રહ્યા છીએ. મુગલસરાઈ જેવા સેક્શન ઉપર ખુબ વ્યસ્ત ટ્રેનો રહે છે. ટ્રેકના માનવીય નિરીક્ષણ માટેનો સમય રહેતો નથી. આવી સ્થિતિમાં ખાસ વ્યવસ્થાની જરૂર છે. તાજેતરમાં જ એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ થઇ છે. ગયા વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે ઇન્દોર-પટણા એક્સપ્રેસ કાનપુર નજીક ખડી હતી જેમાં મોટી ખુવારી થઇ હતી. ત્યારબાદ સિયાલદાહ-અજમેર ટ્રેન ખડી પડી હતી. આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લામાં જગદલપુર-ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેન પણ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, સુરક્ષા માટે વધુ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની ભરતી કરવાને લઇને કોઇ મતલબ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રેલવે ટ્રેક ઉપર માનવીયરીતે નિરીક્ષણ કરનાર વધુ ગેંગમેનની તાકિદની જરૂર છે. રેલવે બોર્ડની સાપ્તાહિક સોમવારની બેઠકમાં આ પાસા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, રેલવે ટ્રેકના રક્ષણ માટે વિશેષ વ્યવસ્થા હોવી જોઇએ. અધિકારીઓના કહેવા મુજબ રેલવે બોર્ડની સાપ્તાહિક સોમવારની બેઠક છેલ્લા એક વર્ષથી થઇ રહી નથી જેથી આ બેઠક પણ નિયમિતપણે ફરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત રાત્રિ ગાળામાં ટ્રેનોને ઝડપી દોડાવવા માટેની પ્રથામાં સુધારો થાય તે જરૂરી છે. ઘણી વખત આના કારણે અકસ્માતો થાય છે. રેલવેને જુના કોચને બદલી નાંખવાની જરૂર છે. ખાસ સુરક્ષા પાસા સાથેના ડબ્બાઓને આવરી લેવા જોઇએ. સુરક્ષા ખતરા તરીકે આઈસીએફ ડબ્બાને કેટલીક કમિટિ ગણાવી ચુકી છે. આગામી દિવસોમાં આ દિશામાં પણ પહેલ થવી જોઇએ.રેલવે દ્વારા ગંભીર પ્રયાસ જરૂરી બન્યા છે.
પાછલી પોસ્ટ