કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરના વર્ષોમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૨૫૪૦ માઈલની પગપાળા યાત્રા કરી છે તેમાં તેઓ લાખો લોકોને મળ્યા છે, સામાન્ય લોકોની સાથે ભોજન લીધું છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમણે ટ્રેનના જનરલ કોચમાં સવારી કરી છે. છતાં કોંગ્રેસ માટે મતદારો આકર્ષવામાં તેમને સફળતા નથી મળી. રાહુલ ગાંધી પોતાની પદયાત્રા દરમિયાન અનેક રાજ્યોમાં લોકોને મળ્યા હતા, અને કોંગ્રેસના લોકો તેમની કામગીરીને ’મોહબ્બતની દુકાન’ તરીકે ગણાવતા હતા. પરંતુ આ દુકાનને ઉત્તર ભારતમાં ખાસ પ્રતિસાદ નથી મળ્યો તે આજના ચૂંટણી પરિણામો પરથી સાબિત થઈ ગયું છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણાના ચૂંટણી પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. હિંદી બેલ્ટમાં રાહુલ ગાંધીના પક્ષને ભારે આંચકો લાગ્યો છે. જે રાજ્યોમાં કોંગ્રેસ વિજેતા બનવાની આગાહી કરવામાં આવતી હતી ત્યાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. કોંગ્રેસે પોતાના હાથમાંથી રાજ્યોને ગુમાવ્યા છે તેમ કહી શકાય.
હિંદીભાષી ત્રણેય રાજ્ય – રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો મજબૂત વિજય થયો છે અને કોંગ્રેસ ક્યાંય રેસમાં નથી. લોકસભાની ચૂંટણી ચાર -પાંચ મહિનામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે જેની જવાબદારી રાહુલ ગાંધીએ પણ ઉઠાવવી પડશે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ હવે લોકપ્રિય નથી રહ્યા અને ભાજપ જીતી જશે તેવો દાવો કરવામાં આવતો હતો. પરંતુ શિવરાજ સિંહ પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા છે.
જોકે, તેલંગણામાં બીઆરએસનો વિજયરથ રોકવામાં કોંગ્રેસ સફળ રહી છે. કર્ણાટક પછી તેલંગણામાં કોંગ્રેસના વિજયથી કહી શકાય કે સાઉથ ઈન્ડિયામાં તેનું જોર છે, પરંતુ નોર્થમાં તાકાત ઘટતી જાય છે.