આ વર્લ્ડ કપમાં ભારતે પહેલીવાર પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં રોહિત શર્માની અડધી સદી તથા સૂર્યકુમાર યાદવની મહત્વની ઈનિંગ્સની મદદથી ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 229 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, 230 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય બોલર્સ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. રોહિત શર્માએ 87 અને સૂર્યકુમારે 49 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મોહમ્મદ શમીએ ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
230 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે મક્કમ શરૂઆત કરી હતી. જોની બેરસ્ટો અને ડેવિડ મલાનની જોડીએ ટીમને મક્કમ શરૂઆત અપાવી હતી. પરંતુ બુમરાહે મલાનને આઉટ કર્યો તે સાથે જ ઈંગ્લેન્ડનો ધબડકો થયો હતો. બેરસ્ટો 14 અને મલાન 16 રન નોંધાવીને આઉટ થયા હતા. ત્યારબાદ જો રૂટ અને બેન સ્ટોક્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બંને બેટ્સમેનો શૂન્ય પર જ આઉટ થયા હતા. કેપ્ટન જોસ બટલર પણ 10 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.