કેનેડામાં ગઈકાલે એક તાલીમી વિમાનને અકસ્માત નડતા તેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા જેમાં બે ભારતીય યુવાનો છે જેઓ પાઈલટની તાલીમ લઈ રહ્યા હતા. ટ્રેઈનર પ્લેન ક્રેશમાં અભય ગડરૂ અને યશ વિજય રામુગડે નામના બે ભારતીય પાઈલટ માર્યા ગયા છે. આ ઉપરાંત એક ત્રીજા પાઈલટનું પણ મોત નિપજ્યું છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયા ખાતે આ પ્લેન ક્રેશ થયું હતું જેમાં માર્યા જનારા બંને ભારતીય પાઈલટ મુંબઈના હતા. તેઓ ટિ્વન એન્જિન લાઈટ એરક્રાફ્ટ પાઈપર પીએ-૩૪ સેનેકા ઉડાવી રહ્યા હતા ત્યારે વિમાન એક મોટેલની પાછળ ઝાડ સાથે ટકરાયું હતું. આ દુર્ઘટના વેનકુંવરથી લગભગ ૧૦૦ કિમી દૂર બની હતી.
કેનેડિયન પોલીસે જણાવ્યું કે તેમને વિમાન દુર્ઘટનાના સ્થળને કોર્ડન કરી લીધું છે અને બીજી કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. આ એકક્રાફ્ટ કેવી રીતે તૂટી ગયું તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડાએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
ઘણા લોકો પાઈલટની ટ્રેનિંગ માટે કેનેડાને પસંદ કરે છે અને ભારતથી દર વર્ષે ઘણા યુવાનો પાઈલટ બનવા માટે કેનેડાની ફ્લાઈંગ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા હોય છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક પાઈલટ અભય ગડરુ મુંબઈના વસઈનો નિવાસી હતો. ગડરુના મુંબઈ સ્થિત એક મિત્રે જણાવ્યું કે તે ૨૦૨૧માં કોમર્શિયલ પાઈલટની તાલીમ લેવા માટે કેનેડા ગયો હતો. તેણે ૨૦૦ કલાક વિમાન ઉડાવવાની તાલીમ પૂરી કરવાની હતી અને ત્યાર પછી તે ભારત પરત આવવાનો હતો. શનિવારે સવારે કેનેડિયન ઓથોરિટી તરફથી અભય ગડરૂના પરિવારને ફોન આવ્યો હતો જેમાં તેમને આ દુર્ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું. અભય ગડરુની પરિવારમાં તેના માતાપિતા અને એક નાનો ભાઈ છે. તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે અને હવે તેઓ પોતાના પુત્રના મૃતદેહને કેનેડાથી ભારત લાવવા પ્રયાસ કરી રહ્યા છે.
તાલીમી વિમાન તૂટી પડ્યા બાદ તરત રાહત અને બચાવ કાર્ય માટે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. ઘટનાસ્થળે પાંચ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટરને પણ તૈયાર કરાયા હતા, પરંતુ ત્યાર પછી તેની ઉડાન રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું કે તાલીમી વિમાન ઉડતી વખતે અચાનક નીચે આવવા લાગ્યું હતું અને ખુલ્લા મેદાનમાં આવેલા ઝાડ સાથે ટકરાતા જ તેમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના એટલી ઝડપથી બની હતી કે કોઈને તેમાંથી બચી નીકળવાની કે બચાવવાની તક મળી ન હતી.