સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે ૧૪માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની અધ્યક્ષાતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છે તેઓ જાણવા માંગે છે કે તેમની સાથે કોણ છે અને કોણ નથી. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ સેમીફાઈનલ ઈચ્છે છે અને સેમીફાઈનલ ગઈકાલે થઈ હતી જેનું પરિણામ સૌની સામે છે. આ ઉપરાંત મોદીએ એમ પણ કહ્યું કે સામાજિક ન્યાયની વાત કરનારા લોકોએ વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજનીતિ દ્વારા દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ સિવાય પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવાનું કહ્યું હતું.
આ દરમિયાન તેમણે ૨૦૧૮ના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો ત્યારે વિપક્ષને ૨૦૨૩માં તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ’અહંકારી’ ગઠબંધન અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે. અમારી પાસે બહુમતી છે, અમને સમજાતું નથી કે તેઓ પ્રસ્તાવ કેમ લાવ્યા. કદાચ તેઓ એક છે કે કેમ તે ચકાસવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષના પ્રશ્નોનો સામનો કરવાની રણનીતિ ઘડવા માટે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પક્ષના સાંસદ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતા હાજર રહ્યા હતા.