ભારત સામે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ શ્રીલંકાની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય સ્પિન બોલર રંગના હેરાથ ઇજાના કારણે સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પલ્લેકેલેમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં હેરાથ ટીમનો ભાગ નહીં હોય.શ્રીલંકાની ટીમના ખેલાડીઓ સ્વાસ્થ્યને લઇને ટીમથી અલગ થઇ રહ્યાં છે.
ટેસ્ટ સિરીઝના પ્રારંભમાં અંગૂઠાની ઇજાના કારણે અસેલા ગુણેર્ત્ન ટીમથી બહાર થઇ ચૂક્યો છે. આ ઉપરાંત સુરંગા લકમલ પણ પીઠના દુઃખાવા તેમજ નૂવાન પ્રદિપ પણ ઇજાના કારણે બહાર થઇ ગયા છે ત્યારે કપ્તાન દિનેશ ચાંદીમલ પણ પ્રથમ ટેસ્ટમાં નિમોનિયાના કારણે રમી શક્યો ન હતો. જો કે, હવે ટીમના મુખ્ય સ્પિનર રંગના હેરાથ પણ ઇજાના કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં નહીં રમે. હેરાથના સ્થાને ટીમમાં કોને સ્થાન અપાય છે તે હજી સ્પષ્ટ થયું નથી.ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૨-૦થી પોતાના નામે કરી છે.