કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી અને કોંગ્રેસના કાર્યકરોને ભરત ગણાવ્યા હતા. ખુર્શીદે કહ્યું- ભગવાન રામની ખડાઉ (લાકડાનું ચપ્પલ) ખૂબ દૂર સુધી જાય છે. કેટલીકવાર જ્યારે રામજી નથી પહોંચી શકતા ત્યારે ભરત ખડાઉ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ રીતે જ અમે યુપીમાં ખડાઉ લઈને આવ્યા છીએ. હવે ખડાઉ આવી ગઈ છે તો રામજી પણ આવશે.
ખુર્શીદે કહ્યું- રાહુલ ગાંધી યોગીની તપસ્યાની જેમ પોતાના મિશન પર ફોકસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી એક સુપર હ્યુમન છે જ્યારે અમે ઠંડીમાં થીજી રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીએ ત્યારે તેઓ (તેમની ભારત જોડો યાત્રા માટે) હાફ ટી-શર્ટ પહેરીને બહાર જઈ રહ્યા છે. તેઓ એક યોગી જેવા છે જે પૂરા ધ્યાનથી તપસ્યા કરી રહ્યા છે.
ભાજપે ખુર્શીદના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ખુર્શીદની ટિપ્પણીને હિંદુ આસ્થાનું અપમાન ગણાવ્યું હતું. શહઝાદે તેના ટિ્વટર પર ટિ્વટ કર્યું – સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી અને પોતાની તુલના ભરત સાથે કરી!! તે ચોંકાવનારું છે! શું તે કોઈની તુલના બીજા ધર્મના દેવતાઓ સાથે કરવાની હિંમત કરશે?શહજાદે કહ્યું- જે લોકો રામજીના અસ્તિત્વને નકારીને રામ મંદિરના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે તેઓ હવે હિંદુ આસ્થાનું અપમાન કરી રહ્યા છે! શું જનોઈધારી રાહુલ આ વાત સાથે સહમત છે?
સલમાન ખુર્શીદ સોમવારે યુપીના અમરોહામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી ભારત જોડો યાત્રા ૩ જાન્યુઆરીએ યુપીના ગાઝિયાબાદથી ફરી શરૂ થશે. હાલમાં આ યાત્રા ૯ દિવસના વિરામ પર દિલ્હીમાં છે.કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેની શરૂઆત તમિલનાડુથી કરી હતી. તે હજારો કિલોમીટર પગપાળા ચાલ્યા છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, અમને લોકો તરફથી ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. અમે આ યાત્રા જમ્મુ-કાશ્મીર સુધી કરી રહ્યા છીએ.