ઉમેશ ગોરાહવા, બોટાદ
બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક પાર કરી છે અને હવે રાજ્યમાં ખેતી, ઉદ્યોગ-ધંધા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તબક્કાવાર છુટછાટ આપી જનજીવનને પૂર્વવત કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ કોઈ રીતે આપણને પોસાય નહીં.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બોટાદને મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે અંગેની કામગીરી શરુ થશે, જેના પરિણામે ગુજરાતના આરોગ્યક્ષેત્રના નકશા પર બોટાદ જિલ્લો પણ સ્થાન પામશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ અને ભાવનગરની જેમ બોટાદ પણ તેની આરોગ્યસેવાના કારણે સૌરાષ્ટ્રમાં મહત્વનું કેન્દ્ર બની રહેશે.આ પ્રસંગે વિશેષપણે ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે બોટાદને મેડિકલ કોલેજ ફાળવવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં ઉર્જામંત્રીશ્રીએ અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓને “ટીમ બોટાદ” તરીકે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
બોટાદની જિલ્લા કક્ષાની આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભા વાઘેલા ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા,ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત જોશી, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેક્ટર શ્રી મુકેશ પરમાર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમ જ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમની બોટાદ મુ લાકાત દરમિયાન આરાધના કોવીડ હોસ્પિટલ તેમ જ જ્યાં નવી સિવિલ હોસ્પિટલ આકાર પામશે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી. વળી, તેમણે બરવાળા તાલુકા આરોગ્ય કેન્દ્રની જાતમાહિતી પણ મેળવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રવાસ દરમિયાન કુંડળ સ્વામીનારાયણ મંદિર,સાળંગપુર શ્રી કષ્ટભંજન મંદિર અને બીએપીએસ મંદિર જઈ ઈશ્વરના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.